સાબરકાંઠા જીલ્લામાંથી આંતરરાજય સાપ તસ્કરીનું રેકેટ ઝડપાયુ઼ : ર કોબ્રા અને ૧ ખળચિતરો મળી આવ્યો
અટલ સમાચાર,હિંમતનગર
સાબરકાંઠા જીલ્લા વનવિભાગને આંતરરાજય ઝેરીસાપની તસ્કરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી વન અધિકારીઓની ટીમે હિંમતનગર-શામળાજી હાઇવે પર વાહન તપાસ્યા હતા. જેમાં એક કારમાંથી ર ઝેરી કોબ્રા અને ૧ ખળચિતરો મળી આવ્યો હતો. વનવિભાગે કુલ ૪ આરોપીઓને પકડી એક દિવસના રીમાન્ડ લીધા હતા.
સાબરકાંઠા જીલ્લાની રાયગઢ રેન્જ નજીકથી આંતરરાજય ઝેરી સાપની તસ્કરીનું રેકેટ પકડાતા વન આલમમાં ખળભળાટ મચી ગયો છે. વનવિભાગની ટીમે બાતમીને આધારે શામળાજી હાઇવે પર કાર થોભાવી ર આરોપી સાથે બે કોબ્રા સાપ અને એક ખળચિતરો સાપ કબજે કર્યો હતો. ગત 3૧મી ડીસેમ્બરે રેકેટ સામે આવતાં પુછપરછને અંતે અન્ય બે આરોપી ઝડપી પાડયા હતા.
વનવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે, સાપના તસ્કરો ગુજરાતના અલગ-અલગ સ્થળોએથી ઝેરી સાપ પકડી મુંબઇ સહિતના સ્થળોએ વેચાણ કરી મોકલી આપતા હતા. જેથી સાપ તસ્કરો ઝેરથી ડ્રગ્સ બનાવવાના ગોરખધંધામાં સામેલ હોવાનું લાગી રહયુ છે. વનવિભાગે ૧ દિવસના રીમાન્ડ બાદ બીજા રીમાન્ડની માંગણી કરતા કોર્ટે સ્વીકારી નહોતી. જેથી સાબરકાંઠા વનવિભાગે વાઇલ્ડ લાઇફની વિવિધ ર૦ કલમો મુજબ એફઓઆર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર રેકેટ મદદનીશ વનસંરક્ષક યોગેશભાઇ દેસાઇ, આરએફઓ કે.એચ.મકવાણા, ફોરેસ્ટર બી.એન.દેસાઇ, ડી.એ.ચૌધરી, અશોક દેસાઇ, જયેન્દર વાઘેલા અને એમ.ડી.દેસાઇ સહિતનાએ આંતરરાજય સાપ તસ્કરીના આરોપીઓ ઝડપી પાડયા હતા.