સાબરકાંઠા: બાળકને જન્મ આપી માતા-પિતા પલાયન, પોલીસ બની પરિવાર
અટલ સમાચાર, મહેસાણા
હિંમતનગર શહેરની હોસ્પિટલમાં બાળકના જન્મ બાદ માતા પિતા ગણતરીની પળોમાં પલાયન થઇ ગયા હતા. આથી નર્સ અને ડોક્ટરની ટીમે ભારે દોડધામને અંતે બી ડીવીઝન પોલીસ મથક કે જાણ કરી હતી. બાળકને હોસ્પિટલમાં જન્મ આપી તેના માતા પિતા ત્યજીને જતા રહ્યા છે. આથી પીએસઆઇ પ્રતિપાલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે તાત્કાલિક અસરથી બાળકની સારવાર માટે તમામ વ્યવસ્થા શરુ કરાવી દીધી હતી. આ પછી અનાથ બનેલાં બાળકની જિમ્મેદારી ઉઠાવી ખુદ સાબરકાંઠા પોલીસ માતા પિતા બની છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર બી ડિવિઝન પોલીસને નવજાત બાળકના માતા-પિતા શોધવા હોસ્પિટલથી જાણ કરાઇ હતી. આથી પીએસઆઇ સહિતની ટીમ દોડી ગઇ હતી. માહિતીને આધારે કાયદાકીય કાર્યવાહી સામે બાળકની સ્થિતિ સૌથી વધુ મહત્વની બની હતી. ડૉક્ટરે કહ્યું કે બાળકને શ્વાસની તકલીફ હોઈ સર્જરી કરવી પડશે અને તે હિંમતનગરમાં શક્ય નથી.
જન્મતાની સાથે અનાથ બાળકને જીવન જીવવાની પરિક્ષા આવી છે. આથી નવજાતની સર્જરી કરવા તમામ જવાબદારી હિંમતનગર બી ડીવીઝન પોલીસે લીધી છે. આ સાથે હોસ્પિટલમાં બાળકના માતા પિતા તરીકેની ઓળખ પોલીસ કર્મીએ દર્શાવી દીધી છે.
બાળકને સારવાર આપી રહેલા ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું હતું કે, બાળકની સ્થિતિ નાજુક હોવાથી તેની સર્જરી અમદાવાદ કરવામાં આવશે. આ માટે વાલી તરીકેની જવાબદારી હવે સાબરકાંઠા પોલીસે ઉપાડી લીધી છે.
શું કર્યું એસપી ચૈતન્ય માંડલિકે ?
બાળકના માતા-પિતા અન્ય રાજ્યના હોવાની આશંકા છે. તેઓ જન્મ આપી હોસ્પિટલમા મુકી જતાં રહ્યા હતા. બાળકની તબિયત જોઈ અમદાવાદ ખસેડી વેન્ટીલેટર ઉપર રખાયો છે. બાળકની જિમ્મેદારી સાબરકાંઠા જિલ્લા પોલીસ ઉઠાવશે. શ્વાસનળીના ઓપરેશન અને દવાનો ખર્ચ આશરે 1.50થી 3 લાખ થઈ શકે છે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. બાળકની સારવાર સાથે તેના માતાપિતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.