સ્વચ્છતા@યાત્રાધામઃ પાલોદર પંચાયત નિષ્ફળ રહેતાં યુવાનોએ બીડું ઝડપ્યું
અટલ સમાચાર, મહેસાણા
પંચાયત નહી સુધરતાં યુવાનોએ સ્વચ્છ ભારતનો અરીસો દેખાડ્યો, શરમ કરો જે કામ માટે પંચાયત બોડી ચુંટી તે કામ યુવાનોએ કરવું પડ્યું
મહેસાણાને લગોલગ આવેલું ચોસઠ જોગણીનું યાત્રાધામ દેશભરમાં પ્રસિદ્ધ છે. વર્ષે લાખો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનેલા ગામમાં પંચાયતના વહિવટકર્તાઓના ભરોષે ખાડે ધપી રહ્યું હોવાનું માલુમ થતું હતું. ત્યારે પાલોદરના નવયુવાનો આજરોજ મોટી સંખ્યામાં એકત્રીત થઈ ગામલોકોની આર્થિક મદદ મેળવી ગામમાં સ્વચ્છતા અભિયાન આદર્યું હતું. પાલોદર યુવક મંડળ દ્વારા થયેલી સ્વચ્છતા જોઈ ગામલોકોએ યુવાનોની પીઠ થાબડી આનંદ વ્યક્ત કર્યો હતો. સફાઈમાં જોડાયેલા યુવાનોની તસ્વીરો જોઈ આમ જનતા અને તંત્રના અધિકારીઓ સૌ કોઈ પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં આવેલ પાલોદર ગામ ચોસઠ જોગણી માતાજીના મંદિરના કારણે યાત્રાધામમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત છે. મંદિરની એકદમ સામે શૌચાલય, મુતરડી, મંદિર ચોક, વાડી સહિતની સાફ-સફાઈ આદરી હતી. એકંદરે 40થી વધુ ગામના યુવાનોએ મળી માતાજીના ચાચરચોકને જાજરમાન બનાવી દીધો હતો. યુવાનોની આ કામગરીથી જોઈ પંચાયતના વહિવટકર્તાઓ ગામલોકો સામે ભોંઠા પડ્યા હતા. કારણકે લાખો શ્રધ્ધાળુઓ, હજારો ગ્રામજનો ગામમાં ગંદકીને અને પાયાની સુવિધાના અભાવે દુઃખી જણાતા હતા. જેથી જવાબદાર પંચાયતનું કામ સોમવારે યુવાનો દ્વારા કરી દેખાડતાં પંચાયતની નિષ્ફળ કામગીરીના પડઘા મહેસાણા સુધી સાંભળવા મળ્યા હતા.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
Video:
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં સ્વચ્છતા અભિયાન હેઠળ પૂરજોશમાં કામગીરી થઈ રહી છે. અને જે માટે પંચાયતોને મળતી લાખોની ગ્રાન્ટ ગામની સ્વચ્છતા હેઠળ વપરાતી હોય છે. સરકાર દ્વારા સ્વચ્છ ગામને એવોર્ડથી લઈ અનેકવિધ સન્માનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ બાબત આજે પાલોદરના યુવાનોએ ગ્રામ પંચાયતને યાદ અપાવ્યું હોય તેમ લાગી રહ્યું છે.
વહેલી સવારે હાથ ધરેલ કામ બપોર સુધી પૂર્ણ કરી દીધું
સોમવારની વહેલી સવારે નવયુવાનો નોકરી-ધંધા અને અભ્યાસને બાજુમાં મુકી ગામની સફાઈ અભિયાનમાં લાગ્યા હતા. મારૂ ગામ સમજી કાર્યમાં જોડાયેલા સ્વચ્છતાપ્રેમીઓએ બપોર સુધીમાં જેશીબી મશીન, ટ્રેક્ટર, પાવડા અને એકબીજાના સાથથી યાત્રાળુઓને માતાજીના ધામની અનુભૂતિ કરાવી મુકી હતી. કાંટાળા ઝાડી-ઝાંખરાનો માર સહન કરી દૂર કરાયા હતા. એક સમયે શૌચાલય, બાગ બગીચામાં ક્યાંય કોઈ પ્રકારની સુવિધા ના દેખાતી ત્યાં જાતે જ ચિત્રો દોર્યા હતા અને સફાઈના લખાણોથી સ્પષ્ટ નીરખાઈ આવતું હતું. આમ, ચાર-પાંચ કલાકના કામમાં યુવાનોએ આગળ આવવું પડ્યું તે પણ શરમજનક બાબત કહેવાય.
સમજદાર ગામ લોકોનો સહયોગ મળ્યો
યુવાનોમાં ગામ ટોડાના માતાજી ઉપર આસ્થા હોઈ યાત્રાધામાં આવતા યાત્રાળુઓને સુખદ અનુભવ થાય તેવું કરી બતાવવાનું ઝૂનુન સવાર થયું હતું. જે માટે પંચયાતના વહિવટકર્તાઓ પાસેથી એકપણ રૂપિયાની મદદ લીધી ન હતી. સ્વખર્ચે હાથ ધરાયેલ કાર્યમાં ગામના સમજદાર અને વિકાસમાં રાજી એવા શિક્ષિત લોકો આગળ આવ્યા હતા. જેમણે કામગીરીની પ્રશંસા કરી મદદ પણ કરી હતી.
પંચાયતના વહિવટકર્તા સરકારી ગ્રાન્ટ ક્યાં વપરાય છે?
સરકાર દ્વારા ગામના વિકાસ માટે પંચાયતને લાખોની સરકાર દ્વારા મળતી હોય છે. જેમાં રોડ-રસ્તા, ગટર જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવી પંચાયતની પ્રાથમિકતા હોવાછતાં ગામમાં હજુ પણ ઠેર-ઠેર ગંદકી અને ગટરો ઉભરાઈ રહી છે.
છેલ્લા કેટલાક સમયથી પંચાયતમાં વિવાદો વધી રહ્યા છે
ગ્રામજનો પંચાયતને વિકાસના કામો અંગે જાણ કરવા જાય છે તો ઉડાઉ જવાબો મળી રહ્યા છે. એકબીજા ઉપર આક્ષેપોનો મારો કરી કામ કરવા દેતા નથી કહી એક રીતે ગ્રામજનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જ્યારે ગ્રાન્ટની બાબતમાં સૌની ચુપકિદી સામે માસુમ ગ્રામજનો ગણુંબધુ સમજી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.