સનસનીખેજ@અલ્પેશ ઠાકોર: મોટી ઓફર અથવા નાક દબાવ્યું હોવાનો રીપોર્ટ
અટલ સમાચાર,ગીરીશ જોષી
અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસને બાયબાય થવાનું કારણ ઠાકોરસેનાને સન્માન માત્ર હોઇ શકે ? ઠાકોરસેનાને કોંગ્રેસમાં મહત્વ નથી મળતું હોવાની દલીલ સામે હકીકત કંઇક અલગ છે. ઠાકોરસેનાની કોર કમિટીના ૧૧ પૈકી અડધોઅડઘ સભ્યોને અલ્પેશના નિર્ણયનો આંચકો લાગ્યો છે. એક સભ્યએ તો મોટી ઓફર અથવા કોઇ કારણસર નાક દબાવ્યુ હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. સમગ્ર બાબતે આશંકાઓ વ્યકત કરતો અહેવાલ જાણો.
અલ્પેશ ઠાકોરને કોંગ્રેસથી નારાજગી છે કે સેનાના તમામ આગેવાનોને તે અંગે સ્ફોટક વિગત સામે આવી છે. ઠાકોરસેનાની કોર કમિટીના ૧૧ પૈકી ચારથી પાંચ સભ્યો અલ્પેશના નિર્ણયની વિરોધમાં છે. જ્યારે બાકીના મૂંઝવણમાં હોવાથી નિર્ણય લઇ શક્યા નથી. રમેશજી (બાવળા), પ્રવિણજી (અમદાવાદ), રામજીભાઈ (મહેસાણા), ચકાજી (પાલનપુર) સહિતનાએ ઠાકોરસેનાની કોર કમિટીમાંથી છેડો ફાડી દીધો છે.
જ્યારે અન્ય સભ્યો રાજકીય કદમાં નાના હોવાથી નિર્ણય લઈ શકતા નથી. ગણતરીના સભ્યો અલ્પેશ ઠાકોરની કમિટીમાં રહ્યા હોવાથી નવીન કોર કમિટી બનાવવાની નોબત આવી છે. અલ્પેશના નિર્ણય પાછળનું અસલી કારણ હજુ સુધી ઠાકોરસેનાના આગેવાનોને ખબર નથી. વિધાનસભા ચુંટણી દરમ્યાન ભાજપની મોટી ઓફર આવી હોવાની સ્પષ્ટતા કોરકમિટીના સભ્યએ કરી છે.
મહેસાણા ઠાકોરસેનાના રામજી ઠાકોરને પુછતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના માત્ર બે કારણો હોઇ શકે છે. અગાઉ ભાજપે બહુ મોટી નાણાકીય ઓફર કરી હતી. જે ઠાકોરસેનાએ ઠુકરાવી હતી. આથી ફરી એકવાર મોટી ઓફર આવી હશે. આ સિવાય અલ્પેશની કોઇ ગંભીર માહિતી હોય અને તે માહિતિ જે વ્યક્તિ કે પાર્ટી પાસે આવી હોય તો તેણે પોતાનું ધાર્યુ કરાવવા નાક દબાવ્યું હોવું જોઈએ. કોંગ્રેસમાં ખુબ જ ટુંકા ગાળામાં કદાવર નેતા બન્યા બાદ માત્ર સન્માન ખાતર રાજીનામું આપવુ તે વાત અમને ગળે ઉતરતી નથી તેમ રામજી ઠાકોરે ઉમેર્યુ હતુ.
અલ્પેશ ઠાકોર મહત્વાંકાંક્ષી
રામજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, ખેરાલુ વિધાનસભાની ચુંટણી દરમ્યાન છેલ્લી ઘડી સુધી વાયદો કરી અલ્પેશ પ્રચાર માટે આવ્યો નહોતો. આથી ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાથે સોદાબાજી કરી હોવાની પ્રબળ સંભાવના છે. કેમ કે, જે તે વખતે ભાજપની તમામ ઓફરો સામે ઠાકોરસેના ના પાડતી હોવા છતાં અલ્પેશ તૈયાર થઇ ગયો હતો. જોકે, કોરકમિટીના મોટાભાગના સભ્યોએ ના પાડતા અલ્પેશ માન્યો હતો.