ગંભીર@અમદાવાદ: કોરોનાના 100થી 200 નવા કેસ સામે આવવાની શક્યતા
અટલ સમાચાર,ડેસ્ક
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ શહેરમાંથી 1000થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે 100, 200 જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. જોકે, ગત દિવસોમાં કરાયેલ સરવે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. 982 આરોગ્યની ટીમોમાં 1900 કર્મચારીઓ અને 74 UHCના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં 1 લાખ ઘરોમાં ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, અમદાવાદના કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે. કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં એક સર્વેલન્સ, બીજું ટેસ્ટિંગ, ત્રીજું પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને ચોથા સ્ટેજમાં સારી સારવાર આપવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, અગાઉ અમદાવાદમાં દૈનિક 15 થી 20 નવા કેસ આવતા હતા, પણ છેલ્લા ચાર દિવસથી કેસોમાં અનેકગણો વધારો કરાયો છે. હાલ અમારું તંત્ર ચેસિંગ ધ વાઇરસ હેઠળ કામ થઈ રહ્યું છે. જે નવા 50 કેસ આવ્યા એ amcની ટીમે જ શોધ્યા છે. હાલ સંપૂર્ણ ધ્યાન સરવે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ. આ રીતે સરવેમાં દર્દીઓને ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. એક કેસ સામે ન આવે તો 450 લોકોને અસર થાય અને 10 થી 12 મોત થઈ શકે છે. વધુમાં વધુ લોકો ટ્રેસ થાય એ રીતે કામ કરી રહ્યાં છે. આજે 982 ટીમ, 74 અર્બન હેલ્થ સેન્ટરના 1900 હેલ્થ કર્મીઓ ફિલ્ડમાં છે. કોટ વિસ્તારના 6 અર્બન હેલ્થ સેન્ટર પર આ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.
છેલ્લા પાંચ દિવસમાં કુલ ટેસ્ટ કરેલા સેમ્પલ
- 4 એપ્રિલ: 57
- 5 એપ્રિલ: 166
- 6 એપ્રિલ: 408
- 7 એપ્રિલ: 638
- 8 એપ્રિલ: 840