ગંભીર@બેચરાજીઃ માર્ગ ઉપર પુલીયું બેસી ગ્યુ, ગમખ્વાર અકસ્માત થઈ શકે
અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)
ઉત્તર ગુજરાતમાં મોટાભાગના માર્ગો બિમાર પડી ગયા છે ત્યારે વાહનચાલકો ભારે પરેશાન છે. જેમાં બેચરાજી પંથકના માર્ગ પર તાજેતરમાં બનાવેલું પુલીયું બેસી જતા મસમોટો ખાડો પડ્યો છે. જેના કારણે વાહન ચાલકોને ગમખ્વાર અકસ્માત થવાની પ્રબળ સંભાવના બની છે. રાત્રિના સમયે પુરપાટ ઝડપે જતા બાઈકચાલકો છેતરાઈ શકે છે.
મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના હાઈવે પર જેતપુરથી ઉદેલા જતો માર્ગ ભયંકર દુર્ઘટનાની સંભાવના બતાવી રહ્યો છે. બે ગામ વચ્ચે પંચાયત વિભાગે તાજેતરના મહિનાઓમાં પુલીયા સાથે માર્ગ તૈયાર કર્યો હતો.
જોકે, ગણતરીના દિવસોમાં માર્ગ બેસી જતા પુલીયાવાળો ભાગ ઉપસીને બહાર દેખાઈ રહ્યો છે. જેનાથી વાહન ધડકાભેર ટકરાઈ શકે તેવી ભીતિ બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જર્જરિત માર્ગ પરના દ્રશ્યો જોતા બાઈક અને કાર સહિતના વાહન ચાલકોને જાણે વચ્ચે પથ્થર આવી ગયો હોય તેવો અકસ્માત સંભવિત બન્યો છે. પુલની નજીકના અંતરે કેટલોક ડામર બેસી જતા ખાડા-ટેકરા સાથે પુલીયાનો પથ્થર દુર્ઘટના નોતરી શકે છે. ગણતરીના મહિનાઓમાં માર્ગની આવી પરિસ્થિતિ જોતા સ્થાનિકો ભ્રષ્ટાચારની બદબૂ આવી હોવાનું જણાવી રહ્યા છે.