ગંભીર@દાહોદ: પ્રધાનમંત્રી ગ્રામીણ સડક એક જ વરસાદમાં ધ્વસ્ત, ગામલોકોએ કર્યા ભયંકર આક્ષેપ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દેવગઢબારિયા તાલુકાના ત્રણેક ગામોને જોડતો સરેરાશ 6 કિલોમીટરનો એક માર્ગ હજુ હમણાં રિસરફેસ થયો છે. રોડની સરેરાશ 20થી25 ટકા કામગીરી બાકી છે પરંતુ અવરજવર માટે શરૂ થઈ ગયો છે. જોકે હમણાં પડેલા એક જ વરસાદમાં રોડની જે હાલત સર્જાઇ તે જોતાં ગામલોકો ચોંકી ઉઠ્યા છે. રોડની વચ્ચે મસમોટા ખાડા પડી ગયા, નાળાઓનુ ધોવાણ થયું, ડામર તૂટતાં માટી દેખાઇ આવી આ બધું જોઈ ગામલોકોએ ભ્રષ્ટાચારના ભયંકર આક્ષેપો કર્યા છે. ગામલોકોએ જણાવ્યું કે, પીસીસી, આરસીસી કર્યા વગર અનેક જગ્યાએ માટી ઉપર સીધો ડામર પાથરી દીધો હોય તો જ આવી હાલત થાય. જો ગામલોકોના આક્ષેપમાં કંઈપણ દમ હોય અને સમગ્ર રોડનુ ત્રિપક્ષીપ ક્રોસિંગ થાય તો કાર્યવાહી થાય તેવી શક્યતા નકારી શકાય નહી. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના વાંદર, જંબુસર અને વેડ એમ ત્રણ ગામને જોડતો માર્ગ તાજેતરમાં દાહોદ માર્ગ મકાન પંચાયત હેઠળ બનાવવામાં આવ્યો છે. સરેરાશ 5.8 કિમીની લંબાઈનો આ માર્ગ પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ રિસરફેસ થયો હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. આ માર્ગ ઉપર 5થી વધુ નાળાં બનાવવામાં આવ્યા છે અને રોડનું સરેરાશ 75થી80 ટકા કામ પૂર્ણ થયું છે જ્યારે કેટલુંક કામ પ્રગતિમાં છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ચોમાસાના પ્રથમ વરસાદમાં જ રોડ ઠેરઠેર ગાબડાં અને નાળાં ધોવાઇ જતાં વાહનચાલકો માટે જોખમી બન્યો છે. તદ્દન નવો બનાવેલો રોડ એક જ વરસાદમાં એ પણ હેવી વરસાદ નહિ છતાં તૂટી જતાં ગામલોકો આશ્ચર્યમઃ થયા છે. આથી તાત્કાલિક અસરથી વાંદર અને આસપાસના લોકોએ એકઠાં થઈ અતિહદ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. ગામલોકોએ તો ત્યાં સુધી આરોપ મૂક્યો કે, માટી ઉપર ડામર પાથરી દીધો છે એટલે હવે ઉચ્ચ કક્ષાએથી તપાસ જરૂરી બની છે. વાંચો નીચેના ફકરામાં ઈજનેરોએ શું કહ્યું
આ અંગે સૌપ્રથમ દાહોદ જિલ્લા પંચાયતના માર્ગ મકાનના કાર્યપાલક ઇજનેર ગીતાબેન પટેલે જણાવ્યું કે, નાયબ કાર્યપાલક ઇજનેર વિગતો જણાવી શકશે. આથી નાયબ કાર્યપાલક ઇજનેર અને એસ.ઓ સાથે વાત કરતાં જણાવ્યું કે, માર્ગ રિસરફેસ કર્યો છે અને સરેરાશ 2.8 કરોડના ખર્ચે બનાવેલ પરંતુ કેટલીક કામગીરી બાકી છે. આથી રીપેર કામગીરી તુરંત શરૂ કરાવીએ છીએ પરંતુ ગામલોકોના ભયંકર આક્ષેપની તપાસ ઉપર કંઈ જણાવેલ નથી. આથી ફરી કાર્યપાલક ઇજનેર ગીતાબેન પટેલને પૂછતાં જણાવ્યું કે, રોડ વરસાદને કારણે તૂટ્યો હશે પરંતુ હું જાતે સ્થળ મુલાકાત કરી જોવડાવી લઉં છું. જોકે અહિં સૌથી મોટો સવાલ થાય છે કે, ગામલોકોના આક્ષેપ છે ત્યારે માર્ગ માટે કરેલ ટેન્ડરની વિગતો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન રીપોર્ટ, ક્વોલિટી કંટ્રોલ અને તમામ કામગીરીનું ક્રોસ મૂલ્યાંકન થાય તો મોટો ખુલાસો થાય તેમ છે. આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં સમગ્ર મામલે ઘટસ્ફોટ કરવા પ્રયત્ન કરીશું.