ગંભીર@દિયોદર: વડાણા પ્રાથમિક શાળાના બાળકો વૃક્ષ નીચે ભણવા મજબૂર
અટલ સમાચાર,સુઇગામ(દશરથ ઠાકોર)
રાજય સરકાર વર્ષે દહાડે શિક્ષણ પાછળ લાખો કરોડો રૂપિયા નો ખર્ચ કરે છે, પરંતુ અંતરિયાળ ગામોમાં શિક્ષણની વાસ્તવિકતા અલગ જોવા મળી રહી છે. દિયોદરના વડાણા ગામે સરકારી પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા કેટલાય સમયથી જર્જરિત હાલતમાં હોવાથી બાળકો વૃક્ષ નીચે ભણતર મેળવવા મજબૂર બન્યા છે. આ બાબતે તંત્રને રજૂઆત કરાતા શાળા પાંચ ઓરડાને તાળા મારી દેવાયા છે.
દિયોદર તાલુકાના વડાણા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અંદાજે 200 કરતા વધુ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ આ બાળકો બેસીને શિક્ષણ મેળવી શકે તેવા ઓરડા જ નથી. કારણ કે વર્ષો જુની આ શાળાના ઓરડા વખતો વખતના વરસાદ અને ભૂકંપના કારણે ખુબ જ જર્જરિત થઈ ગયા છે.
ઓરડાની દીવાલોમાં મસ મોટી તિરાડો પડી ગઈ છે. શાળાના પતરા પણ તૂટી ગયા હોવાથી શાળ તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરે રજુઆત કરતાં વડાણા પ્રાથમિક શાળાના પાંચ ઓરડા બેસવાલાયક નથી જેવું શાળાને ડેમેજ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હતુ.
વડાણા પ્રાથમિક શાળામાં તંત્ર દ્વારા બાળકોની સુરક્ષાને લઇ પાંચ ઓરડાને તાળા મારી દઈ બાળકોને મેદાનમાં વૃક્ષો નીચે શિક્ષણ આપવા મજબુર બનવું પડ્યું છે. ચોમાસામાં પણ શાળાનું મકાન ઊંડાણ વાળી જગ્યામાં બનાવામાં આવેલ હોવાથી સામાન્ય વરસાદ આવે તો પણ પાણી ભરાઈ જાય છે. જેને લઈ ચોમાસામાં બાળકોને વૃક્ષ નીચે બેસાડી પણ અભ્યાસ નથી કરી શકતા. જેને લઈ બાળકો નું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે.
ઓરડાના અભાવે શાળામાં બે પાળી ચાલે છે
વડાણા પ્રાથમિક શાળામાં ઓરડાના અભાવના કારણે બે પાળી ચાલે છે. શાળામાં પાંચ જેટલા ઓરડા જર્જરિત હોવાથી અન્ય ઓરડામાં બધા વર્ગના બાળકો બેસી શકતા નથી. જેને લઇ સવારમાં 6:50 થી બપોરે 12:00 વાગ્યા સુધી ધોરણ 1 થી 5 ના બાળકો જયારે બપોરે 1 થી 5 માં ધોરણ 6 થી 8ના બાળકો ને અભ્યાસ કરાવો પડી રહ્યો છે
શાળાના આચાર્ય શું કહે છે ?
સમગ્ર મામલે વડાણા પ્રાથમિક શાળાના આચાર્ય રાજેન્દ્રભાઇ પંચાલે જણાવ્યુ હતુ કે,વર્ષ 2017માં આવેલ ભારે વરસાદી પુરના પાણી પ્રાથમિક શાળામાં ભરાઈ જતા શાળાના પાંચ રૂમ ડેમેજ થઈ ગયા છે, જેનું ડેમેજ સર્ટી મળ્યાને પણ દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. રૂમ ડેમેજ હોવાના કારણે હાલ શાળા બે પાળી ચાલે છે, સામાન્ય વરસાદ આવે તો મેદાનમાં પાણી ભરાઈ જાય માટે ચોમાસામાં બાળકોને મેદાનમાં બેસાડી પણ અભ્યાસ કરાવી શકતા નથી. બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે સરકાર તરત શાળાના નવા ઓરડા બનાવે તે જરૂરી છે.
દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કહે છે ?
સમગ્ર મામલે દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વડાણા પ્રાથમિક શાળા ખાડાવાળી જગ્યામાં બનેલ છે અને હાલ જો એજ જગ્યામાં નવા ઓરડા બને તો ભવિષ્યમાં હોનારત થવાની શક્યતા છે. આ માટે વડાણા ગામે શાળા બનાવા અન્ય જગ્યાએ જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ છે. જમીન મળતા જ નવા ઓરડા બનાવામાં આવશે.