ગંભીર@મુસાફરી: અંબાજી મેળામાં એસટીનો બેફામ વેપારી ચહેરો, શ્રધ્ધાળુઓ સ્તબ્ધ
અટલ સમાચાર,અંબાજી (રિતીક સરગરા)
અંબાજી મેળામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શ્રધ્ધાળુઓ માટે કોઇ કસર છોડવામાં નથી આવી. જેની સામે એસટી તંત્રનો ચિંતાજનક વેપારી ચહેરો સામે આવ્યો છે. શ્રધ્ધાળુઓને રાહત આપવાને બદલે મેળા દરમિયાન ભાવ વધારો ઝીંકાયો છે. જેનાથી માં અંબાના ભક્તો કચવાટ અનુભવી રહ્યા છે. અંબાજી દર્શનાર્થે જતાં ભક્તોના હૃદયમાં જીએસઆરટીસી પ્રત્યે સેવાનો ભાવ ઘટી રહ્યો છે.
જગતજનની જગદંબાના અંબાજી ધામે માનવમહેરામણ ઉમટી રહ્યો હોઇ બનાસકાંઠા જિલ્લા તંત્ર ખડેપગે છે. શ્રધ્ધાળુઓને તમામ પ્રકારની સવલતો સામે એકમાત્ર એસટી તંત્ર વેપારી સ્ટાઇલમાં આવ્યુ છે. અગાઉના ભાડાં સામે હાલ મેળા દરમિયાન ભાવવધારો કરી દેવામાં આવ્યો છે. પાલનપુરથી અંબાજીના 40ને બદલે 100, અંબાજીથી આબુરોડના 26ને બદલે 40 જ્યારે અંબાજીથી ગબ્બર સુધીના 10ને બદલે 15 કરી દીધા છે. આનાથી યાત્રાળુઓ ચોંકી ઉઠ્યા હોઇ ધાર્મિક આલમમાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોને ખાનગી વાહનો સામે યોગ્ય ભાડાં લઇ મુસાફરી આપવા સમર્પિત છે. તો મેળા દરમિયાન ભાવ વધારો કરી બેફામ વકરો કરવા એસટી નિગમ પોતાના મૂળભૂત ઉદ્દેશ સાથે ચેડાં કરતું હોવાનો ગંભીર સવાલ ઉભો થયો છે. જો તમામ સરકારી એકમો, સંસ્થાઓ અને ખાનગી વ્યક્તિ કે જૂથ અંબાજી જતાં શ્રધ્ધાળુઓને માટે સેવારૂપી લાલજાજમ પાથરી છે તો એસટી કેમ વિચિત્ર વેપારી ચહેરો બતાવી રહી છે તેવી ચર્ચા ચરમસીમાએ પહોંચી છે.
હિન્દુ મતદારો એવા શ્રધ્ધાળુઓની લાગણી સામે આવું ?
એસટીના ભાવવધારા બાદ અનેક સવાલો અને ચર્ચાને અવકાશ મળ્યો છે. જો ભાજપ હિન્દુ મતદારોની લાગણીઓને માન આપે છે તો અંબાજીના શ્રધ્ધાળુઓ એવા હિન્દુ મતદારોને મેળા દરમિયાન રાહત આપવાને બદલે ભાવ વધારો કરી લાગણી કેમ દૂભવી તે સવાલ સૌથી મોટો બની ગયો છે.