લોકસભા ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલા ફરી એકવાર પાટલી બદલશે : વિવિધ પાર્ટી સાથે ચર્ચા શરૂ
અટલ સમાચાર,ગાંધીનગર
લોકસભાની ચૂંટણીને લઇ દેશ સહિત ગુજરાતનુ રાજકારણ અત્યારથી જ ગરમાઇ રહયુ છે. ગુજરાતની 26 લોકસભા બેઠક અંકે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાતના રાજકારણમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ છોડી ચૂકેલા શંકરસિંહ વાઘેલા હવે ફરી એકવાર પાટલી બદલી કોઇ નેશનલ પાર્ટી સાથે જોડાઇ શકે છે. જેમાં સૌથી ટોપ ઉપર શરદ પવારની NCPનું નામ ચર્ચાઇ રહ્યું છે.
આગામી 29 જાન્યુઆરીએ અમદાવાદમાં એનસીપીનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં NCP સુપ્રીમો શરદ પવારની હાજરીમાં શંકરસિંહ વાઘેલા પાર્ટીમાં સત્તાવાર જોડાઇ જાય તેવી પ્રબળ સંભાવના છે. રાજયમાં કદ્દાવર નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો. આ ઉપરાંત તેમના પુત્ર મહેન્દ્રસિંહે પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જો કે ભાજપમાં તેમની સતત અવગણના થતાં તેમણે ભાજપ છોડી દીધું છે.
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર જોતા તેઓ ર વખત પોતાની પાર્ટી બનાવી ચુકયા છે જયારે ત્રણ વખત અલગ-અલગ પાર્ટીમાં જોડાઇ પાટલી બદલી ચુકયા છે. આગામી લોકસભા ચૂંટણી અગાઉ તેઓને NCPમાં જોડાવાથી મહત્વની રાજકીય જવાબદારી સોંપાય, તો નવાઈ નહીં.