સમાજ કલ્યાણ કચેરીની બેદરકારી : રસોડાની કીટના બદલે કડીયાકામની કીટ અપાઇ
અટલ સમાચાર,ગાંધીનગર
રાજ્ય સરકારની માનવ ગરીમા યોજના અંતર્ગત ટુલકીટ્સ અને સાધનો અનુસૂચિત જાતિના લોકોને આપવામાં આવે છે. માનવ ગરિમા યોજના અતર્ગત અરજદારોએ રસોડાની કીટ માટે વર્ષ 2018 અને 2૦19માં ફોર્મ ભર્યા હતા. જોકે તંત્ર ઘ્વારા કડીયાકામની કીટ ફાળવી દેતા હડકંપ મચી ગયો છે.
અનુસુચિત જાતિની બહેનોએ માનવ ગરીમા યોજના અંતર્ગત રસોડાની કીટ માટે ફોર્મ ભર્યા હતા. અનુસૂચિત જાતિ સમાજના લોકોની સરકાર મજાક કરતી હોય તેમ બહેનોને રસોડાની કીટના બદલે કડીયાકામની કીટ અપાઇ ગયાનું સામે આવ્યુ છે. મહિલા લાભાર્થીઓને પ્લમ્બર અને કડીયાકામ માટે જરૂરી ઓજાર સહિતની કીટ ફાળવી દેવાઇ હતી. રસોડાનું કામ કરનાર મહિલા પ્લમ્બર અને કડીયાનું કામ કઈ રીતે કરશે? તેનો જવાબ તો માત્ર સમાજ કલ્યાણ અધિકારી જ આપી શકે તેમ છે.
આ બાબતે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, 2017ની જૂની કિટો લાભર્થીઓને પધરાવવામાં આવી છે. માનવની ગરિમાની યોજનામાં જ માનવ ગરિમાનું પાલન નથી થતું.