સ્પાર્ક@ખેડબ્રહ્મા: GEBની બેદરકારી, ઘરના વીજ ઉપકરણો બળી ગયા
અટલ સમાચાર,ખેડબ્રહ્મા (રમેશ વૈષ્ણવ)
ખેડબ્રહ્મા શહેરના ચાંપલપુર વસાહતમાં સ્વામીનારાયણ મંદિર પાછળથી 11 કે.વી. વીજલાઈન પસાર થાય છે. જે લાઈન ખૂબ નીચી હોઈ સ્થાનિક રહિશોને અકસ્માતની બીક છે. જેથી તેને ઊંચી કરવા અનેકવાર રજૂઆત કરવા છતાં ઠેરનું ઠેર છે. જેમાં અચાનક ગુરુવારે સ્પાર્કિંગ થતા સ્થાનિક ઘરના વીજ ઉપકરણો બળી ગયા હતા.
ખેડબ્રહ્મા શહેરના સ્વામિનારાયણ મંદિર પાછળ વસવાટ કરતા ચારણ જગદીશભાઈ ખીમજીભાઈ, નારણભાઇ આનંદભાઈ ચારણ, રમેશભાઈ સાવજી ઓડ, લાલનાથ બાબુનાથ અને ચારણ વાલિબેન ગોવિંદભાઇ સહિતના રહીશોના ઘર ઉપરથી 11 કે.વી વીજલાઈન પસાર થાય છે. જે વીજલાઈનમાં વારંવાર સ્પાર્કિંગ થતું આવ્યું છે. જેને લઇ રહીશો ઘ્વારા 30 જૂન 2015, 22 જૂન 2018, અને 11 જૂન 2019 ના રોજ વીજલાઈન દુરસ્ત કરવા રજૂઆતો કરેલી છે, તેમ છતા જીઇબી તંત્ર ઘ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
હાલમાં ચોમાસાની સીઝન ટાંણે પવન ફૂંકાતા વીજલાઈન વધુ નીચે આવી ગઈ હતી. જેની રજુઆત પણ કરી હતી. જોકે નિંદ્રાધીન હોય તેમ જી.ઇ.બી. ઘ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દરમ્યાન ગુરુવારે સવારે 10 વાગે વીજલાઈનમાં સ્પાર્કિંગ થતા જગદીશભાઈના ઘરમાં એલ.ઇ.ડી.ટીવી., કુલર, પંખા, ફ્રીઝ અને વાયરિંગ બળી ગયું હતું.
નારાજ બની જગદીશભાઈ અને આજુબાજુના રહીશોએ મહિલાઓ સાથે જી.ઇ.બી. કચેરીમાં હલ્લાબોલ કરી 20 મિનિટ સુધી ચર્ચા કરી હતી. જી.ઇ.બી કચેરીમાં રકઝક કરતા અધિકારીઓએ વીજવાયર ઊંચા કરવાની બાંહેધરી આપી હતી.