સ્પેશિયલ-ડે: વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસની ઉજવણી છતાં બાળમજૂરી યથાવત
અટલ સમાચાર, ડેસ્ક
વર્ષ 2002માં બાળમજુરી અંગે જાગૃતિ લાવવા આંતરરાષ્ટ્રીય મજૂર સંઘના નેજા હેઠળ બેઠક મળી હતી. આ પછી દર વર્ષે 12 જૂનને બાળમજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યુ છે. આથી દર વર્ષે ભારતમાં 12 જૂન બાળમજુરી વિરોધી દિન તરીકે મનાવાય છે.
બાળમજુરીએ વર્તમાન સમાજનું કલંક છે. બાળમજૂરીથી લાખો-કરોડો બાળકોનું બાળપણ છીનવાઇ જાય છે. કોઈપણ બાળકને પુખ્ત થતાં પહેલા બાળમજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે પણ ચડી જાય છે.
ભણવાની ઉંમરના બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે.
ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં અનેક કાર્યો સમાજ અને સરકારે કરવાના હોય છે, જેનાથી સાચા અર્થમાં લોકશાહી અને વિકાસના ફળ લોકો સુધી પહોંચી શકે. બાળ-મજૂરી વિરોધ દિવસ એ ફક્ત ઔપચારિક્તા ના રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું કામ સરકાર અને જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે.
બાળમજૂરી વિરોધી કેટલીક કલમો
01.કલમ 24 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા કોઇપણ બાળકને કોઇપણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇપણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ.
02.કલમ 39-E મુજબ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે.
03.કલમ 39-F મુજબ બાળકો તંદુરસ્ત રીતે આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ. બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ.
04.કલમ 45 મુજબ બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસકે કરવા જોઇએ.