સ્પેશ્યલ: આજે રાત્રે હોળી પ્રાગટ્યનો સમય અને પુજા કરવાની વિધિ જાણો
અટલ સમાચાર,ડેસ્ક
આજે ફાગણ સુદ પૂર્ણિમાની સાંજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં હોળીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. આસુરી શક્તિ પર દૈવી શક્તિની જીતના ઉત્સવ તરીકે હોળીનું પર્વની ઉજવણી થતી હોય છે. આજે સોમવારે સાંજે 6:45થી 7:33 સુધી હોળી પ્રાગટય માટે શુભ મુહૂર્ત છે. રાત્રે 11:19 બાદ હોળાષ્ટક પૂર્ણ થશે. આવતીકાલે એટલે મંગળવારે રંગ-ઉલ્લાસનાં પર્વ ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પૂજા કરવાની વિધિ
હોળીની પૂજા કરવાનો અનેરો મહિમા હોય છે. કુમકુમ, ધાણી, ચોખા, કાચી કેરી, શ્રીફળ, કપૂર, લવિંગ, ખજૂર, અનાજ તેમજ પાણીનાં કળશ પ્રગટેલી હોળીમાં અર્પણ કરવામાં આવે છે. હોળીનાં પાંચ કે સાત ફેરા ફરીને આ તમામ સામગ્રી સાથે પૂજન કરવાનું મહત્વ હોય છે. પ્રદક્ષિણા ફરતી વખતે ‘ઓમ્ વિષ્ણવે નમ: ‘ મંત્રનો જાપ કરવાનો મહિમા છે. માનવામાં આવે છે કે, હોળીનો તાપ લેવાથી આપણી તંદુરસ્તી જળવાઇ રહે છે.
હોળીના દિવસે ખજૂર ખાવાનું પણ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે. આ દિવસે લોકો ખજૂર ખાય છે અને હોળીની જ્વાળામાં ખજૂર હોમવામાં પણ આવે છે. હોળીનાં એક જ દિવસે અમદાવાદમાંથી 80 ટનથી વધુ ખજૂરનું વેચાણ થશે. અમદાવાદમાં મોટાભાગનું ખજૂર ઇરાન, ઇરાક, સાઉદી અરેબિયાથી આવે છે. હિંદુ પંચાગ પ્રમાણે હોળી વર્ષનો અંતિમ તહેવાર છે. સનાતન ધર્મ પ્રમાણે ચૈત્ર મહિનાથી હિંદુ નવ વર્ષનો પ્રારંભ થાય છે. ફાગણી પૂનમ હોવાથી ડાકોરમાં સેંકડો ભક્તો ઉમટી પડશે.
કઇ દિશામાં હોળીનો પવન જવાથી શું થાય?
સોમવારે જ હોળી સાથે વ્રતની પૂનમ કરવાની છે. 2 માર્ચે શરૂ થયેલા હોળાષ્ટક 9 માર્ચે રાત્રે 11.18 વાગ્યે પૂરા થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, હોળીનો ધુમાડો પૂર્વ દિશા તરફ જાય તો રાજા-પ્રજા બન્ને સુખ મળે છે. પશ્ચિમ તરફ જાય તો ધન, સંપત્તિ વધે છે. ઉત્તર દિશા તરફ જાય તો ખેતી સારી થાય છે. દક્ષિણ દિશા તરફ જાય તો દુકાળ, મહામારી પેદા થાય છે. ધુમાડો સીધો આકાશ તરફ જાય તો સત્તા પરિવર્તન થતું હોવાનું માનવામાં આવે છે.