સ્પેશ્યલ@ગુજરાત: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ, રાજ્યભરમાં ઉજવણીનો માહોલ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે વડાપ્રધાન મોદીનો જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસને ખાસ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે PM મોદીના રાજ્યમાં વેક્સનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં વિવિધા કાર્યક્રમો હાથ ધરાઈ રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાં નમો વન બનાવવામાં આવશે તેવું નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે. એટલું જ નહીં આજે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નમો વનમાં વૃક્ષારોપણ માટે છોડવાનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલા બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર છોડવાનોને ઉછેરવામાં આવશે. આમ PM મોદીના 71માં જન્મ દિવસે 71 હજાર છોડવાનોઓનું વૃક્ષારોપણ કરી આ દિવસને ખાસ દિવસ બનાવવામાં આવી રહ્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી થઇ છે. મહેસાણાના એચ.એલ.રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પીએમ મોદીના 71માં જન્મદિવસ નિમિતે 71 ફૂટ ઉંચુ સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજના દિવસે 171 દંપતી દ્વારા ભગવાન રામની આરતી કરી પીએમ મોદીની અનોખી ઉજવણી કરાઇ રહી છે સાથે જ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરાઇ છે. તેમજ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરાઇ રહ્યું છે. અહીં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પિન્ટુ પટેલ અને આલોક રાય નામના બે યુવાન દ્વારા કરાયું છે.
આજે પીએમ મોદીના વતન વડનગરમાં પણ તેમના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે વડનગરવાસીઓ, તેમના મિત્રો, શિક્ષકોએ તેમને યાદ કરી જૂની વાતો યાદ કરીને વડનગરવાસીઓએ PMને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ પોતાનું બાળપણ અને યુવાની વડનગરમાં વિતાવી છે ત્યારે બાળપણના શિક્ષક તેમને ભણાવવાનો આજે ગર્વ અનુભવી રહ્યા છે. તેઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી ભાષા અને ગણિતમાં ખુબ રસ ધરાવતા સાથે સાંસ્કૃતિક વારસા સાથે પણ બહુ જ લગાવ હતો. તો પીએમ મોદીના સ્કૂલ કાર્યકાળના મિત્રોએ પણ બાળપણની વાતો યાદ કરતા કહ્યું કે, નરેન્દ્ર મોદી બાળપણથી જ ખુબ હોશિયાર હતા અને તેમને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ખુબ રસ હતો. જોગીદાસ ખુમાણનું પાત્ર તેમને એક નાટકમાં જોરદાર નિભાવ્યુ હતુ તેઓ બાળપણથી જ સાહસી અને સમાજ સેવી હતા.
આ સાથે આજે વડાપ્રધાન મોદીના જન્મ દિવસ નિમિતે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં 500 થી વધુ જગ્યા પર વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં સવારથી જ લોકો વેક્સિનેશન માટે આવી રહ્યા છે. વડોદરામાં શહેરમા 125 જગ્યા પર વેક્સિનેશન ચાલી રહ્યું છે જેમાં સીટી બસ સ્ટેશન પર વેક્સિનેશન કેમ્પ લગાવવામા આવ્યો છે જ્યાં સીટી બસ સ્ટેશને મુસાફરોને વેક્સિન આપવામાં આવી રહી છે તો આ તરફ રાજકોટમાં પણ રસીકરણનું મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં 50 હજાર લોકોને વેક્સિન આપવાનો મનપાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. સોસાયટી કે શેરીમાં જઈને મહાપાલિકાની ટીમ વેક્સિન આપી રહી છે વેક્સિનના આ મહા અભિયાનને સાર્થક બનાવવા મનપા કમિશનર અમિત અરોરાએ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી છે.