સ્પેશ્યલ@રાધનપુર: ઠાકોર મતદારોના વલણથી બંને ઉમેદવારો “ગંભીર”
અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રાધનપુર વિધાનસભા પેટા ચૂંટણીનો જાહેર પ્રચાર થંભી ગયો છે. જોકે અત્યાર સુધીની સભા, રેલીઓ, બેઠકો, મુલાકાતો અને ગોઠવણ છતાં ઉચાટ યથાવત છે. ઠાકોર મતદારોના વલણથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર અંદરથી “હાર” ની બીક અનુભવી રહ્યા છે. જાહેરમાં જીતનો દાવો પરંતુ આ વખતે માહોલ કંઇક અલગ હોવાથી અલ્પેશ અને રઘુ દેસાઇ ગંભીરતા સમજી રહ્યા છે.
પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર મતદારો છે. ઠાકોરસેના અધ્યક્ષ હોવાથી અને કોંગ્રેસના ઉમેદવાર દેસાઇ હોવાથી અલ્પેશને જીત મળવાની આશા છે. જોકે પક્ષપલટો કર્યો હોવાથી ગઈવખત કરતાં માહોલ અલગ જણાતાં ઉચાટમાં ચાલી રહ્યા છે. આ તરફ કોંગ્રેસના રઘુ દેસાઇને ઠાકોર મતદારોથી ચિંતા સાથે આશા ભેગી થઈ છે. પોતે ઠાકોર ન હોવાથી નુકશાન જવાની બીક છતાં અલ્પેશે પક્ષપલટો કર્યો હોઇ ઠાકોર મતદારો કોંગ્રેસ તરફી રહેવાની શક્યતા છે. આવી સ્થિતિમાં પંથકના ઠાકોર મતદારોએ બંને ઉમેદવારોને “ગંભીર” બનાવી દીધા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અલ્પેશને ઠાકોર મતદારો સાથે ભાજપના પરંપરાગત મતોની આશા તો રઘુ દેસાઇને ઇત્તર સમાજ સાથે ઠાકોર મતોથી વિજયની આશા છે. જોકે ઠાકોર મતદારો છેલ્લી ઘડીએ જે નિર્ણય “બદલે” અથવા “પકડી” રાખે તેવા ડરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારની ઊંઘ ઉડી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશના પક્ષપલટા સામે ઠાકોર મતદારોનું વલણ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે.