રમત@દેશ: ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે મુલતવી રાખવામાં આવેલી IPLનો રોમાંચ આજથી ફરી શરૂ

 
Ipl
 ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી હશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ અને લશ્કરી હુમલાના કારણે બંધ રાખવામાં આવેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 નો રોમાંચ આજથી ફરી શરૂ થશે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ 17 મેના રોજ એટલે કે આજે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે આમને-સામને થશે. આ મેચની સૌથી ખાસ વાત ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની વાપસી થશે. જેમણે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

લગભગ 10 દિવસ પછી, બંને ટીમો ટુર્નામેન્ટમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવશે. RCB એ અત્યાર સુધી 11 મેચમાં 16 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. આ મેચની જીત તેમને પ્લેઓફમાં સ્થાન અપાવી દેશે. તેમજ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKR માટે, આ મેચ કરો યા મરોની સ્થિતિ જેવી છે. 12 મેચમાં 11 પોઈન્ટ મેળવનાર આ ટીમ હાલમાં છઠ્ઠા સ્થાને છે અને બીજી હાર તેમની પ્લેઓફની આશાઓ પર પાણી ફેરવી શકે છે. IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ 35 વખત એકબીજા સામે રમી ચૂક્યા છે. જેમાં કોલકાતાનો હાથ ઉપર રહ્યો છે. કારણ કે કોલકાતા નાઈટ રાઈડર્સે બેંગલુરુ સામે 20 મેચ જીતી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા સામે 15 મેચ જીતી છે.