હડકંપ@લખતર: નવા ટ્રાફિક કાયદા સામે સજ્જડ બંધ પાડી વિરોધ કર્યો
અટલ સમાચાર, સુરેન્દ્રનગર
ટ્રાફિક નિયમ ભંગ બદલ આકરા દંડની જોગવાઈ સાથેના નવા મોટર વ્હિકલ એક્ટનો આજથી એટલે 16મી સપ્ટેમ્બરનાં સોમવારથી અમલ થયો છે. આજ સવારથી જ આકરા દંડ સામે લોકોમાં વિરોધ, ગુસ્સો, નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરનું લખતર ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમોનો વિરોધ કરીને ગામ સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ ગામમાં લોકોએ અનેક જગ્યાએ બંધનાં પોસ્ટરો લગાવવામાં આવ્યાં છે.
સુરેન્દ્રનગર જીલ્લાનું લખતર ગામ આજે બંધ છે. આ ગામવાસીઓએ ટ્રાફિકનાં નિયમો અને તેની સાથેનાં દંડનો વિરોધ કર્યો છે. મોટર વ્હિકલ એક્ટના નવા કાયદાના વિરોધમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. હેલ્મેટ સહીત પીયુસી, લાઇસન્સ વગેરેના નિયમોમાં મોટી રકમના દંડના કાયદા સામે વિરોધ કરવા બંધનું એલાન આપ્યું છે. જેમાં લખતરના વેપારીઓ અને દુકાનદારોને પણ બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે.
મહત્વનું છે કે, આજથી ગુજરાતભરમાં ટ્રાફિક નવા નિયમોનું સખત પાલન કરાવવા અને નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજજ બની છે. સરકારે જણાવ્યુ છે કે ટ્રાફિક પોલીસનો હેતુ દંડ ઉઘરાવવા કરતા ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં વધુ ને વધુ જાગૃતિ ફેલાવવાનો છે. ટ્રાફિક પોલીસ શહેરના મુખ્ય માર્ગો પર તૈનાત રહી નિયમ મુજબ વાહનચાલકો પાસે હેલ્મેટ, લાયસન્સ, વીમો અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટની ચકાસણી કરશે અને પૂરતા ડોક્યુમેન્ટ નહીં હોય તો નિયમ મુજબ દંડ પણ ફટકારશે.