હડકંપ@વડગામ: સરકાર આરોપી ટીડીઓને કેમ છાવરે? મહિલા પ્રમુખનો સવાલ
અટલ સમાચાર, પાલનપુર
વડગામ તાલુકા વિકાસ અધિકારીની કરતૂત સામે આવ્યા બાદ મહિલા શક્તિ એકઠી થઇ છે. પિડીત મહિલા તલાટીઓ સહિતના જિલ્લા પંચાયત પ્રમુખને રજૂઆત કરવા ગયા હતા. જેને ધ્યાને લઇ વિગતો મેળવ્યા બાદ આરોપી ટીડીઓને છાવરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. રૂપાણીનો માણસ હોવાનો દાવો કરતા ટીડીઓને રાજ્ય સરકાર કેમ બચાવી રહી તેવો ચોંકાવનારો સવાલ કર્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ટીડીઓ અમૃત પરમાર વિરુદ્ધ મહિલા તલાટીઓની ગંભીર રજૂઆત બાદ સવાલો ઉભા થયા છે. પોલીસ ફરિયાદને અંતે પુરાવા માન્ય થયા છતાં ટીડીઓ બિંદાસ હોવાનું જાણી રજૂઆતકારો ગભરાહટમાં આવ્યા છે. આથી મહિલા તલાટીઓ ગઈકાલે મોટીસંખ્યામાં જિલ્લા પંચાયતના પ્રમુખ પિનાબેન ઠાકોરને મળવા દોડી ગયા હતા. જ્યાં ટીડીઓ સામે કોઈ ઠોસ કાર્યવાહી ન હોવાનું જાણી મહિલા પ્રમુખ ચોંકી ગયા હતા. જેમાં ટીડીઓ પરમાર મુખ્યમંત્રી રૂપિણીનો માણસ હોવાની ભડાસ મારતો હોઇ રાજ્ય સરકાર સામે સવાલો ઉભા કર્યા છે.
બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પિનાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ટીડીઓ પોતાની ચેમ્બરમાં મહિલા તલાટીઓને સ્પર્શ કરવા સુધીની હરકતો કરતો હતો. આથી અનેક મહિલા કર્મચારીઓ ત્રાસી હોઈ તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવી પડે. જોકે ફરિયાદમાં આધાર પુરાવા હોવા છતાં ટીડીઓને કેમ છાવરવામાં આવે છે ? તે સવાલ અત્યંત ગંભીર બન્યો છે. રાજ્ય સરકાર બેટી બચાવો જેવી વાતો કરે છે તો આ તરફ ટીડીઓ પરમાર મહિલા તલાટીઓને ગંદા મેસેજ કરે છે. આથી તાત્કાલિક કાર્યવાહી કેમ ટાળવામાં આવે તે સવાલ પ્રમુખે કર્યો છે.
મહિલા તલાટીઓના દામ્પત્ય જીવનમાં ખલેલની જવાબદારી કોની ?
મહિલા તલાટીઓએ વડગામ પોલીસ મથકે ટીડીઓ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરાવ્યા બાદ દોડધામ મચી છે. ફરિયાદી મહિલા તલાટીઓને ન્યાય મળવામાં વિલંબ જવાથી દામ્પત્ય જીવન ઉપર અસર થવાની શક્યતા હોવાનું પણ પ્રમુખ પિનાબેન ઠાકોરે જણાવ્યું હતું. આવી સ્થિતિમાં ટીડીઓને કારણે થતી સામાજીક અસરોની જવાબદારી કોની ? આ સવાલ ચિંતિત કરી રહ્યો છે.