ભણ્યાં@ગુજરાત: કોરોનાથી ધો.10ના તમામ વિદ્યાર્થીઓ પાસ પરંતુ ટકા કેટલાં સૌથી મોટો પ્રશ્ન
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોરોના કહેર સતત વધી રહ્યો હોઇ ગુજરાત સરકારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી છે. જોકે હવે પ્રશ્ન એ થાય છે કે, ધો.10ના તમામ વિદ્યાર્થીઓ પાસ તો તેમને ટકા કેટલાં આપવામાં આવશે ? કેમ કે, માનો કે કોઇ વિદ્યાર્થી હોશિયાર હોય અને ધોરણ 10 પછી એને સાયન્સ રાખવુ હોય તો માસ પ્રમોશનને લઇ અવઢવમાં મુકાઇ શકે છે. તેવી જ રીતે આવા વિદ્યાર્થીઓને ધો-11માં તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ કેવી રીતે અપાશે ? તે પણ સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
રાજ્ય સરકારે ગુરૂવારે ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ્દ કરી શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ હવે પરીક્ષા જ નહી આપવી પડે અને સીધા ધોરણ 11માં જતા રહેશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ્દ કરી માસ પ્રમોશન આપવામા આવી રહ્યું છે. નોંધનિય છે કે, ધોરણ-10માં માસ પ્રમોશનથી અનેક સમસ્યા સર્જાઇ શકે છે. જો તેનો ઉકેલ નહીં લવાય તો શિક્ષણની ગુણવત્તાના સ્તરમાં ઘટાડો થશે અને લાંબા ગાળે નકારાત્મક અસરો પડશે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, હાલ ધો.9 સુધી માસ પ્રમોશન પછી વિદ્યાર્થીઓને ધો.10માં પણ માસ પ્રમોશન અપાતાં ધોરણ 11માં 20 ટકા વધારવા પડશે. ધો.10માં મહેનત કરનારા અને મહેનત ન કરનારા તમામ વિદ્યાર્થીઓને એક સમાન માસ પ્રમોશન આપવાથી આ વિદ્યાર્થીઓનું ધો.11 અને 12ના પરિણામ ઓવરઓલ નબળું આવશે. સરકારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારે પરીક્ષા યોજીને વર્ગ બઢતી આપી હોત તો સ્થિતિ અલગ થઇ શકત તેવું જાણકારોનું માનવુ છે. આ સાથે ધોરણ-12માં પણ જો માસ પ્રમોશન અપાય તો વિવિધ પ્રશ્નો સર્જાઇ શકવાની નોબત બની શકે છે.