રજૂઆત@કડી: રખડતા ઢોરોના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ્, પત્ર લખી રોષ ઠાલવ્યો
અટલ સમાચાર,કડી
કડીમાં નાની કડીથી વિરમગામ જતા રસ્તા ઉપર આવેલ જકાતનાકા રોડથી વિડજ ગામ સુધીના રોડ ઉપર રખડતા ઢોરોના ત્રાસ વધ્યો છે. જેને લઇ સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. કડીના જાગૃત નાગરિકો દ્વારા કડી પોલીસ સ્ટેશન, કડી નગરપાલિકા અને નાનીકડી ગ્રામપંચાયતને પત્ર લખી રખડતા ઢોરથી કોઇ જાનહાનિ થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે તેમ જણાવતા ચર્ચાનો વિષય બન્યો છે.
મહેસાણા જીલ્લાના કડી સહિત સમગ્ર પંથકમાં રોડ ઉપર ઢોરો રખડતા જોવા મળે છે. જેનાંથી ઘણા બધા ગમખ્વાર અકસ્માત થતા પણ જોવા મળે છે. અખબાર અને ન્યુઝ પોર્ટલોમાં અહેવાલ આવ્યા બાદ નગરપાલિકા દ્વારા કામગીરી કરી અત્યાર સુધી 100 જેટલા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મૂકી આવ્યા પરંતુ નાનીકડી ગ્રામપંચાયતને અહેવાલોની કોઈ ચિંતા ના હોવાનું જોવા મળ્યું હતું.
કડી પોલીસ દ્વારા કડી-વિરમગામ રોડ ઉપર નરસિંહપુરા પુલ પાસે જે ચેકીંગ કરવામાં આવે છે. તેને આવકારીને રોડ રસ્તા ઉપર રખડતા ઢોરોના લીધે વાહનચાલકો અને રાહદારીઓને જાન માલનું નુકશાન થાય છે. આ સાથે રખડતા ઢોરોના ત્રાસને દૂર કરવામાં તંત્રનું ઉદાસીનતા ભર્યું વલણ આઘાતજનક છે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાગૃત નાગરીક દ્વારા તંત્રને ચીમકી આપવામાં આવી છે કે સત્વરે આ પરિસ્થિતિનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં રખડતા ઢોર દ્વારા કોઈ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે અને તેમના ઉપર પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે.
રખડતા ઢોરના માલિકોને સૂચના આપી દીધી છે: સરપંચ (નાની કડી)
રખડતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવા જાગૃત નાગરિકે કરેલી લેખિતના જવાબમાં નાનીકડી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા એવું જણાવવામાં આવ્યું પકે રખડતા ઢોરને પકડવાની કામગીરી અમારી નથી. તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા રખડતા મુક્ત ઢોરોના માલિકોને મૌખિક સૂચના આપી દેવાઈ છે. એમ કહી એમણે લોકોને સમસ્યામાંથી છુટકારો અપાવવાની બાબતમાંથી પોતાના હાથ ઊંચા કરી લીધા હતા.