આપઘાત@દિયોદર: લગ્ન માટે દબાણ કરતાં યુવકના ત્રાસથી સગીરાએ જીવન ટુંકાવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, દિયોદર
દિયોદર તાલુકાના એક ગામમાં સગીરાએ 2 વ્યક્તિના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હોવાની ખબર સામે આવી છે. 15 વર્ષીય સગીરાને યુવક પોતાની સાથે લગ્ન કરવા સતત દબાણ કરતો હોઈ સગીરાએ રાત્રીના સમયે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને હોસ્પીટલમાં ખસેડાયા બાદ સારવાર વચ્ચે મોત થતાં પરિવારજનો શોકમગ્ન બન્યા હતા. દિકરીના મોત બાદ તપાસને અંતે કારણ ખબર પડતા બે ઈસમો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના એક ગામમાં ભાગવી જમીન વાવીને ખેતરમાં જ રહેતા પરિવારને માથે આભ ફાટ્યુ છે. ગત તા.08/01/2021 ના રોજ વહેલી સવારે ખેડુતના પત્ની દુધ દોહવા માટે ઉઠ્યાં ત્યારે 15 વર્ષની દિકરીને બેભાન અવસ્થામાં જોઈને ગભરાઈ ગયા હતા. બાદમાં આ ઘટનાની જાણ ખેડુતના ભાઈને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી સગીરાને સારવાર અર્થે દિયોદરની રાજેશ્વરી હોસ્પીટલ ખાતે લઈ ગયા હતા. આ તરફ સગીરાની હાલત વધુ ગંભીર હોઈ તેને તાત્કાલીક પાલનપુર સીવીલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ દરમ્યાન સારવાર વચ્ચે સગીરાનુ મોત થતા પરીવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ડોક્ટરોના મત મુજબ મૃતકે ઝેરી દવા પી લેતાં તેનુ ઝેર શરીરમાં પ્રસરી જતાં સગીરાનુ મોત થયુ છે. આ તરફ મૃતક સગીરાના પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ અંતિમવિધી કરી હતી. જે બાદમાં પરિવારજનોને ખબર પડી હતી કે, તેમની સગીર દિકરી જ્યારે પણ ઘરે એકલી હોતી ત્યારે મુકેશજી શીવાજી ઠાકોર ઘરે આવી સગીરાને લગ્ન કરવા માટે અવાર-નવાર દબાણ કરતો હતો. જેમાં ભાવાભાઈ શીવાજી ઠાકોર પણ ગુનાહીત કૃત્યમાં ભાગીદાર હતો. જેને લઈ સગીરા માનસીક રીતે કંટાળી જતા તેને ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. જેથી દિયોદર પોલીસે બન્ને આરોપી વિરૂધ્ધ આઈપીસી કલમ 306, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ લોકો સામે નોંધાઈ ફરિયાદ
- મુકેશજી શવાજી ઠાકોર
- ભાવાભાઈ શીવાજી ઠાકોર, બન્ને રહે. ઈસરવા, તા.કાંકરેજ, જી.બનાસકાંઠા