સુઇગામ@મીઠા ઉદ્યોગ: નિકાસમાં અગવડથી મજૂરોના હાલ થયા બેહાલ !
અટલ સમાચાર,સુઇગામ
સુઇગામ તાલુકાના બોરું ગામથી 5 કિ.મી. દૂર છેલ્લા કેટલાય સમયથી ધમધમતો મીઠા ઉદ્યોગ ઓકિસજન ઉપર આવી ગયો છે. યોગ્ય ટ્રાન્સપોર્ટેશનના અભાવે પૂરતી નિકાસ ન થતી હોઇ મીઠા ઉદ્યોગ ઉપર નભતા સરેરાશ 2 હજાર લોકોની રોજગારી જોખમમાં મુકાઇ રહી છે. ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન પર દર વર્ષ કરતાં ઓછું થયું છે. ઉત્પાદન માટે વધતો જતો ખર્ચ અને સામે ટ્રાન્સપોર્ટેશનમાં અગવડને કારણે પંથકમાં મીઠા ઉદ્યોગ ડચકા ખાઇ રહયો છે.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાં વર્ષે 2 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. બોરું, માધપુરા, મસાલી, ઝઝામ, દુદોસણ, ધ્રેચાણા, હરસડ સહિતના ગામોના 2 હજાર ઉપરાંત લોકો મીઠા ઉદ્યોગ ઉપર મજૂરી મેળવી કુટુંબનું ગુજરાન ચલાવે છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઓછું થયું છે. આ સાથે મીઠા ઉદ્યોગમાં નાણાંકીય રોકાણકારો ધીરેધીરે અન્ય વ્યવસાય તરફ જઇ રહ્યા છે.
બોરુના શિવરામભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે ‘મીઠાનું બહાર વેચાણ કરાય છે પરંતુ ટ્રાન્સપોર્ટેશનના અભાવે ઉત્પાદિત મીઠાની નિકાસમાં અડચણો આવી રહી છે. ઉપરાંત મીઠાનો યોગ્ય ભાવ પણ મળતો નથી. હાલ ક્વિન્ટલ દીઠ 20 થી 30 રૂપિયા મળે છે. નજીવા ભાવે વેચાણ કરવું પડતું હોઇ ખોટ સહન કરીને મીઠાનો પરાણે નિકાલ કરવો પડે છે. જેના લીધે મીઠામાં લાખોનું રોકાણ કરનાર રોકાણકારો હવે અન્ય વ્યવસાય તરફ વળી રહ્યા છે. 2 હજાર જેટલા મજૂરોને મીઠા ઉદ્યોગમાં મંદીના કારણે કુટુંબનું ગુજરાન કઇ રીતે ચલાવવું તે એક પ્રશ્ન બની રહ્યો છે.