લોકસભા@બનાસકાંઠા: રાજકીય ચાલથી ઠાકોર મતો 4 ભાગમાં વહેંચાશે
અટલ સમાચાર, મહેસાણા
બનાસકાંઠામાં ઠાકોર મતો કેટલાક દિવસો અગાઉ ચોક્કસ પાર્ટી કે ઉમેદવારની હાર-જીતમાં માટે નિર્ણાયક બનવાનાં હતા. જોકે ઉમેદવારી પત્રો અને અલ્પેશના નિર્ણય બાદ ચાર ભાગમાં વહેંચાઈ જશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આનાથી ભાજપને ફાયદો થવાની પ્રબળ સંભાવના છે.
બનાસકાંઠા લોકસભામાં ઠાકોર સમાજના સાડા ચાર લાખ મતો છે. અલ્પેશની ઠાકોર સેનાનાં ઉમેદવાર, ગરવી ગુજરાત પાર્ટીના ઠાકોર ઉમેદવાર, ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ઠાકોર મતો કબજે કરવા છે. જોકે ચારેય ઉમેદવારો ચોક્કસ વિસ્તાર અને સમર્થકોનું ગ્રુપ ધરાવતા હોવાથી ખેલ ઊંધો પડી શકે છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઠાકોર ઉમેદવારો ઊભા રહ્યા ન હોત અને અલ્પેશનું કોંગ્રેસને સમર્થન હોત તો ભાજપને ધોબીપછાડ મળી શકતી હતી. જોકે ચોક્કસ રાજકીય ચાલથી ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઇ ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને ઠાકોર મતોની અપેક્ષા સામે અન્ય સમાજનાં મતો મેળવવા વધુ દોડધામ કરવી પડશે.