થરાદ: ભુરીયા-લોઢનોર વચ્ચેનો નવીન માર્ગ અધુરો મુકતા ગ્રામજનો ગુસ્સામાં
અટલ સમાચાર,થરાદ
બનાસકાંઠાના થરાદ તાલુકાના ભુરીયા ગામમાં ગત ચોમાસામાં ભુરીયા-લોઢનોર વચ્ચેનો રસ્તો ધોવાઈ ગયો હતો. આ પછી વારંવારની રજુઆતને અંતે શરૂ કરેલ નવીન માર્ગના કામમાં લાલિયાવાડી થઇ હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. કોન્ટ્રાકટરે રસ્તો અધુરો મુકી દેતા સ્થાનિકો ગુસ્સે ભરાયા છે.
ગત ચોમાસામાં ધોવાઇ ગયેલ માર્ગ માટે ગામના જાગૃત યુવકોએ તંત્રને રજુઆત કરતા તંત્ર ઘ્વારા નવીન માર્ગ બનાવવાનું કામ શરૂ કરવામાં આવેલ હતુ. જોકે, બે ગામ વચ્ચેના નવિન રસ્તાનું કામ કરતા કોન્ટ્રાકટરે આ કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. જેમાં કોન્ટ્રાકટરે રસ્તાનું કામ અધુરું કરી વધેલા (મેન્ટલ) પથ્થરાઓ વહેંચી મારી કામગીરીમાં લાલિયાવાડી થઇ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
રસ્તાની બંને બાજુએ કરવાની કામગીરી અધુરી હોવાથી વાહનો ફસાઈ જવાની ભીંતિ ઉભી થઇ છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે, જો અધુરી પડેલી કામગીરી પૂર્ણ કરવામાં નહિ આવે તો ચોમાસામાં વરસાદના કારણે બંને છેડે કાદવ-કિચ્ચડ સર્જાવાથી અકસ્માત પણ થઇ શકે છે.