અંબાજી દર્શન કરી પરત ફરતા પરિવારની કારને અકસ્માત, ૫ ઈજાગ્રસ્ત
અટલ સમાચાર,મોડાસા
શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કાર આજે સવારે મોડાસાના ફરેડી ગામ નજીક પલટી ખાઈ જતા પતિ-પત્ની અને કારમાં સવાર ત્રણ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુ માંથી દોડી આવેલા ગામલોકોએ ઇજાગ્રસ્તોને કાર બહાર કાઢી ૧૦૮ ઇમજન્સી એમ્બ્યુલન્સમાં મોડાસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
પંચમહાલ જિલ્લાના હાલોલના સંદીપભાઈ શાહ તેમના પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કરી સ્વીફ્ટ ડિઝાયર કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે શુક્રવારે વહેલી સવારે ફરેડી-જેસવાડી ગામ નજીક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ રોડ બાજુના ખાડામાં ખાબકી હતી. જેમાં સંદીપભાઈ શાહ,પત્ની મમતાબેન અને પુત્રી શાશવીના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા આજુબાજુમાંથી દોડી આવેલા ગામ લોકોએ કણસતી અને લોહીલુહાણ હાલતમાં બહાર કાઢી ૧૦૮ ઇમજન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. કારનો કડૂચાલો વળી ગયો હતો. સદનસીબે જાનહાની ટળતા લોકોના મુખમાંથી ‘રામ રાખે તેને કોણ ચાખે. ના શબ્દો સરી પડ્યા હતા.