કાયદોઃ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોભામણી જાહેરાતો આજીવન કેદ
અટલ સમાચાર,ડેસ્ક
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ અંગે સરકારે કાયદા કડક બનાવ્યા પછી હવે સરકાર ગ્રાહકોના હિતોના રક્ષણ માટે વધુ સખત જોગવાઈઓ સાથેના નવા ગ્રાહક સુરક્ષા ધારાના અમલની દિશામાં જઈ રહી છે. ખાસ કરીને ભેળસેળ ઉપરાંત આજકાલ ભ્રામક જાહેરાતો દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવાના કેસોમાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે. લોકસભામાં આ નવું બિલ રજૂ થઈ ચૂક્યું છે અને બન્ને ગૃહમાં બિલ પસાર થયા બાદ આનો અમલ શરૂ કરાશે.
આ ઉપરાંત તબીબીજગત દ્વારા પણ કેટલીક જાહેરાતો કરવામાં આવે છે. રોજબરોજના જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં પણ મોટા પાયે ભેળસેળ જોવામાં આવે છે. આવી તમામ ભ્રમ ફેલાવતી જાહેરાતો કરનારાઓ સામે જંગી દંડ તેમજ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
આવી ચીજવસ્તુઓની જાહેરાત કરતી સેલિબ્રિટીઓ પર પણ તવાઈ આવી શકે છે. નવા બિલની જોગવાઈ મુજબ અત્યાર સુધી જે કેસો લાંબા સમય સુધી ચાલતા હતા તે હવે એક જ વર્ષમાં પૂરા થાય તે માટે કાર્યવાહી થશે. જરૂર જણાયે કાયદામાં ફેરફાર પણ કરાશે. સરકાર ગ્રાહકોને લગતી ફરિયાદો દૂર કરવા તમામ સ્તરે ફોરમ બનાવશે. ગ્રાહકોનું હિત સચવાય તે માટે તમામ પગલાં ભરાશે.