ઉત્તર ગુજરાતમાં એકાએક વાતાવરણ પલટાયું, ખેડુતો ભારે ચિંતિત
અટલ સમાચાર, મહેસાણા
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં એકાએક વાદળછાયુ વાતાવરણ થઈ જવા પામ્યું હતું. જેથી ખેડૂતોને પોતાનો મહામૂલો પાકને વિપરીત અસર થવાનો ભય સતાવી રહ્યો છે.
કુદરતની કળા તો જુઓ એક તરફ સિઝનની હાડ થીજાવતી ઠંડીથી પાકને ફાયદો થવાના એંધાણ વર્તાવ્યા હતા. જ્યારે આજે એકાએક ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આવેલા પલટાએ મહેનતકશ ખેડૂતોને ભારે ચિંતામાં મુકી દીધા છે. ખેતરોમાં પોતાનો લહેરાતો પાક જોઈ આનંદમાં રમતો ખેડૂત ગુરુવારે ચિંતાના વાદળોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે.
હજુ થોડા સમય સુધી પોતાની મૂલ્યવાન મૂડી જમીનના ઉભા પાકથી વળતરરુપે મળશે અને જેનાથી પોતાના સંતાનોના અવસર, અભ્યાસ અને કારકીર્દી ઘડવાના સપનામાં રાચતા ખેડૂત ઉપર કુદરતે વાદળછાયા વાતાવરણથી નિરાશ કરી દાધા છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના લાખો ખેડૂતોના મુખમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જવાનો ડર ઉભો થયો છે.
ત્રણ મહિનાની મહેનતથી પકવેલ સોનું લૂંટાઈ જવાનો ડર
ત્રણ મહિનાથી સવાર-સાંજ-બપોર એક કરી પાકને ખેડૂત એક સેનાપતિની ભૂમિકામાં રક્ષણ આપી રહ્યો હતો. રાત-દિવસની સખત મહેનત બાદ ખેતરમાં પોતાનું સોનું દેખાઈ રહ્યું છે. અને હવે દોઢ મહિનામાં આ સોનુ પોતાના ઘરે લઈ જવાના સપના સેવી રહેલ ખેડૂતોને આજના વાતાવરણથી લૂંટાઈ જવાનો ભય પેદા થયો છે.
પલટાયેલા વાતાવરણથી કયા પાકને નુકશાન
વાદળછાયા વાતાવરણથી અનાજનો રાજા ઘઉં, અને રોકડીયા પાક જીરુ, અજમો, રાયડાના પાકને નુકશાન થઈ શકે છે.
પાકનો કોણ નાશ કરી શકે
ખેતરમાં ઉભા પાકને કાળી મચ્છી અને લીલી મચ્છી નામની જીવાતો પાકનો રસ ચુસી લે છે. જેના થકી પાકને પુરતી માવજત મળતી નથી. અને છેવટે પાક સુકાઈ જાય છે.