દુર્ઘટના@દેશ: આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ, 9 શ્રદ્ધાળુઓનાં મોત

 
ઘટના
અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં નાસભાગ થતા 9 લોકોનાં મોત થયા છે. તેમજ અનેક લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલા કાશિબુગ્ગા વેંકટેશ્વર મંદિરમાં શનિવારે સવારે દર્શન દરમિયાન મચેલી નાસભાગમાં 9 શ્રદ્ધાળુઓનાં મોત થયા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મોટી સંખ્યામાં લોકો ભગવાન વેંકટેશ્વરના વાર્ષિક ઉત્સવમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર પાસેથી મળતી માહિતી મુજબ અચાનક ભીડ વધી જવાના કારણે અફરાતફરી મચી ગઈ હતી. જેના કારણે ઘણા લોકો દબાઈ ગયા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.કાર્તિક માસની એકાદશીના પાવન અવસરે મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના બની. પ્રાથમિક જાણકારી અનુસાર, મંદિરના પ્રવેશ દ્વાર પાસે અચાનક ભીડ વધી ગઈ હતી. આ ભીડને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભાગદોડની પરિસ્થિતિ ઊભી થઈ. આ ભાગદોડમાં અનેક લોકો નીચે પડી ગયા અને અન્ય લોકો તેમના પર ચઢતા ગયા, જેમાં કારણે 9 લોકો મૃત્ય પામ્યા અને અનેક ઘાયલ થયા.જાણ થતાં જ પ્રશાસને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું.

ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ મામલે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે સવારથી જ મંદિરમાં ભીડ ખૂબ વધી ગઈ હતી અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની જતા દુર્ઘટના સર્જાઈ હતી. સ્થાનિક પ્રશાસને આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.