દુર્ઘટના@દેશ: ભગવાન જગન્નાથની યાત્રામાં થયો ફટાકડાનો વિસ્ફોટ, 20થી વધુ લોકો દાઝ્યા

 
વિસ્ફોટ

ફટાકડાના ઢગલા પર તણખો પડ્યો અને તેના કારણે વિસ્ફોટ થયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઓડિશાના પુરીમાં રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં 20થી વધુ લોકો દાઝ્યા હતા. આ ઘટના બાદ આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે માહિતી આપી હતી કે તહેવાર દરમિયાન ફટાકડાના ઢગલા ફાટવાને કારણે ઘણા લોકો દાઝી ગયા હતા. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ધાર્મિક વિધિ જોવા માટે એકઠા થયા હતા.

આ પ્રસંગે કેટલાક ભક્તો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે ફટાકડાના ઢગલા પર તણખો પડ્યો અને તેના કારણે વિસ્ફોટ થયો.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને સંબંધિત અધિકારીઓને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે.પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સળગતા ફટાકડા ત્યાં આવેલા લોકો પર પડ્યા હતા. જેના કારણે ભાગ-દોડ મચી ગઈ હતી.  કેટલાક પોતાને બચાવવા માટે સરોવરમાં કૂદી પડ્યા હતા. માહિતી અનુસાર ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી ચારની હાલત હજુ નાજુક છે.