દુર્ઘટના@ગોધરા: જૂનું મકાન તોડવા જતાં અચાનક દીવાલ ધરાશાયી, પિતા અને 4 વર્ષના માસૂમ પુત્રનું મોત

 
ઘટના
ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

​​​પંચમહાલ જિલ્લાના ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન અચાનક દીવાલ ધરાશાયી થતા પિતા અને તેના 4 વર્ષના માસૂમ પુત્રનું કાટમાળ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

ગોધરા તાલુકાના દયાળ ગામના વતની કાળુ ઝાલૈયા ગોધરાના ચીઠિયાવાડ વિસ્તારમાં આવેલા એક જૂના મકાનને તોડવાની મજૂરી કરવા આવ્યા હતા. તેમની સાથે તેમનો 4 વર્ષનો પુત્ર કિશન પણ હતો. પિતા જ્યારે મકાન તોડવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક મકાનની એક દીવાલ પિતા-પુત્ર પર ધસી પડી હતી.દીવાલ પડતાની સાથે જ કાળુભાઈ અને માસૂમ કિશન કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે પિતા-પુત્ર બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળ પર પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.આ કરુણ બનાવને પગલે મૃતકના પરિવારજનો અને સંબંધીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરે મકાન તોડવાની કામગીરીમાં સુરક્ષાના કોઈ સાધનો કે તકેદારી રાખવામાં આવી નહોતી. યોગ્ય સાવચેતી વગર કામ કરાવવામાં આવતું હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.