દુર્ઘટના@ગુજરાત: અમરેલી-ભાવનગર નેશનલ હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના, 3 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમરેલી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની મોટી ઘટના બની છે. રાજુલાના હિંડોરણા રોડ ઉપર મીરા દાતર પાસે એસટી બસ, કાર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. રાજુલા-જાફરાબાદ રૂટની એસટી બસ અને સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે મોટો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં સ્વિફ્ટ કારમાં સવાર ત્રણેય વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.કાર સવાર પાદરાના રહેવાસી દીવ તરફથી આવતા હોવાની માહિતી મળી રહી છે. એક બાઈક ચાલક એસટી બસ પાછળ ઘુસી જવાના કારણે ઈજાગ્રસ્ત થયો છે.
અકસ્માતની ઘટનાની જાણ રાજુલા પોલીસને અને એસટી ડેપોના અધિકારીને થતાં જ હાલમાં કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. રોંગ સાઈડમાંથી સ્વીફ્ટ કાર ઉછળીને આવતા એસટી બસની સાઈડમાં અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્વિફટ કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. બીજી તરફ નડિયાદ કપડવંજ રોડ પર હીરાપુરા પાટિયા નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ચાલકને ગંભીર ઈજા થઈ છે. કાર ચાલકે રોંગ સાઈડ પર આવીને બાઈકને ટક્કર મારી છે અને કારની ટક્કરથી બાઈક ચાલક 5 ફૂટ સુધી ઢસડાયો છે. પોલીસે લાશને PM અર્થે મોકલી તપાસ શરૂ કરી છે.