દુર્ઘટના@ગુજરાત: સિરોહી-આબુરોડ નજીક દુઃખદ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 6 સભ્યોના મોત

ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આબુરોડ નજીક આજે વહેલી સવારના સમયમાં એક દુઃખદ માર્ગ અકસ્માત સર્જાયો છે. આબુરોડ નજીકના વિસ્તારમાં એ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.જ્યારે અમદાવાદથી જાલોર જઈ રહી એક કાર ટ્રેલર પાછળ ધૂસી ગઈ હતી. આ અકસ્માતના કારણે, એક જ પરિવારના 6 સભ્યોનાં ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. અકસ્માતના સ્થળે ભારે ધડાકા સાથે ટ્રેલર અને કાર વચ્ચે અથડામણ થઈ હતી. ઘટનાની જાણ મળતાં જ સિરોહી પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માતની ઘટનામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સારવાર માટે સિરોહી હોસ્પિટલ મોકલવામાં આવી હતી. જ્યારે 6 મૃતદેહોને આબુરોડ સરકારી હોસ્પીટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે. એક જ પરિવારના 6 લોકોના મોત થવાથી અત્યારે પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આબુરોડના વિનાયક પેટ્રોલ પંપ નજીક સર્જાયેલા આ અકસ્માતથી નેશનલ હાઇવે 27 પર વધુ સાવધાની રાખવાની આવશ્યકતા વધારવામાં આવી છે.