દુર્ઘટના@કચ્છ: પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને બે માસૂમ પુત્રીઓના કરૂણ મોત

 
ઘટના
ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કચ્છ જિલ્લાના આડેસર ગામે આજે વહેલી સવારે એક અત્યંત હૃદય કંપાવી દેનારી દુર્ઘટના ઘટી છે. ઘરના જ પાણીના ટાંકામાં ડૂબી જવાથી માતા અને તેની બે માસૂમ પુત્રીઓ સહિત ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. આ બનાવથી સમગ્ર આહીર પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આડેસર ગામે રહેતા રવાભાઈ મકવાણાના પત્ની રૈયાબેન આજે સવારે 6 વાગ્યાની આસપાસ ઘરકામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની 5 વર્ષની દીકરી આરતીબેન અચાનક ઘરના પાણીના ટાંકામાં પડી ગઈ હતી.પોતાની નજર સામે દીકરીને ડૂબતી જોઈને માતા રૈયાબેન તેને બચાવવા માટે દોડી હતી.

કમનસીબે તે સમયે તેમના હાથમાં તેમની 3 માસની માસૂમ દીકરી આયુષી પણ હતી. દીકરી આરતીને બચાવવાની પ્રયાસમાં માતા રૈયાબેન 3 માસની આયુષીને લઈને ટાંકીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઉંડું હોવાથી ત્રણેય તેમાંથી બહાર ન આવી શક્યા અને ડૂબી જવાથી ત્રણેયના કમકમાટીભર્યા મોત થયા હતા. ઘટના સમયે રૈયાબેનના પતિ રવાભાઈ એક ખાનગી કંપનીમાં નાઈટ શિફ્ટમાં નોકરી પર ગયા હોવાથી ઘરે હાજર ન હતા.

મૃતક રૈયાબેનને સંતાનમાં કુલ ત્રણ દીકરીઓ હતી. સદનસીબે, તેમની અન્ય એક દીકરી તે સમયે ઘરમાં સૂઈ રહી હોવાથી તેનો આબાદ બચાવ થયો હતો.ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ત્રણેય માતા-પુત્રીના મૃતદેહોને પાણીના ટાંકામાંથી બહાર કાઢ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે.પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.