દુર્ઘટના@મહેસાણા: વડોદરાથી દર્શનાર્થે આવેલાં પરિવારની રીક્ષા પલટી જતાં આધેડનું સારવાર વચ્ચે મોત
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
વડોદરાથી માતાજીના મંદીરે દર્શનાર્થે આવતાં પરિવારને મહેસાણામાં અકસ્માત નડતાં આધેડનું મોત થયુ છે. આ સાથે ચાર જેટલા વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા હતા. મહેસાણાના રામોસણા બ્રિજ પાસે ગઇકાલે બપોરના સમયે રીક્ષામાં પસાર થતાં પરિવારને એક બેફામ કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં પાંચેક વ્યક્તિ ઇજાગ્રસ્ત બનતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત આધેડનું આજે સવારે સારવાર વચ્ચે મોત થયુ છે. સમગ્ર મામલે ઇજાગ્રસ્તે ફરાર કાર ચાલક સામે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા શહેરના રામસોણા બ્રિજ પાસે ગઇકાલે બપોરના સમયે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત આધેડનું આજે સવારે મોત થયુ છે. વિગતો મુજબ વડોદરાથી રમણભાઇ દેવીપુજક પોતાના પરિવાર સાથે જેતલવાસણા માતાજીના મંદીરે દર્શનાર્થે આવી રહ્યા હતા. આ દરમ્યાન મહેસાણા રાધનપુર ચોકડીથી રીક્ષામાં જતાં હોઇ રામોસણા બ્રિજ દર્શન હોટલની સામે એક બેફામ કાર ચાલકે રીક્ષાને ટક્કર મારતાં રીક્ષા પલટી મારી ગઇ હતી. જેમાં પાંચેક વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લઇ તમામને સારવાર અર્થે ખસેડાયા બાદ આજે સવારે સંપતભાઇ દેવીપુજકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે મૃતકના પુત્રએ અજાણ્યાં ફરાર કાર ચાલક સામે મહેસાણા શહેર બી ડીવીઝન પોલીસ મથકે આઇપીસી 304A, 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184, 134 મુજબ ગુનો નોંધાવ્યો છે.