દુર્ઘટના@મુંબઈ: પહાડનો મોટો હિસ્સો ધરાશાયી થતાં 6 લોકોના મોત, અનેક કાટમાળ નીચે દટાયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મુંબઈના કુર્લા વિસ્તારમાં આવેલા ચિરાગ નગર સ્થિત ગૌસિયા ચાલ પર બુધવારે વહેલી સવારે પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થયો હતો. ભારે વરસાદને કારણે થયેલા આ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. ઘટના બનતાં જ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મુંબઈ મહાનગરપાલિકા અનુસાર, આ ઘટનાની જાણ વહેલી સવારે આશરે 3:48 વાગ્યે થઈ હતી. દુર્ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ, મુંબઈ પોલીસ, 108 એમ્બ્યુલન્સ, NDRF અને BMCના સ્થાનિક કર્મચારીઓ તાત્કાલિક પહોંચી ગયા હતા. તેમજ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવા માટે ખાસ 'વિક્ટિમ-ડિટેક્શન કેમેરા'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી ઝડપથી લોકોને બહાર કાઢી શકાય.ડીસીપી ગણેશ શિંદેના જણાવ્યા અનુસાર, ઘાટકોપર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અશોકનગર અને કુર્લા ક્ષેત્રમાં મૂશળધાર વરસાદના કારણે જમીન ધસી પડી હતી. બચાવ કામગીરી દરમિયાન શરૂઆતમાં બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે કુર્લા ભાભા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 18 વર્ષીય સોહેલ અંસારી અને 14 વર્ષીય મોહમ્મદ અંસારીનો પણ સમાવેશ થાય છે.BMC અને સ્થાનિક પ્રશાસનના જણાવ્યા મુજબ, હજુ પણ 4થી 8 લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શક્યતા છે. ઘટનાસ્થળે તબીબી સેવાઓ અને બચાવ દળ સતત તહેનાત છે.

