દુર્ઘટના@પાલનપુર: હાઇવે પર ત્રિપલ અકસ્માત, શિક્ષક પુત્ર અને પિતાનું મોત, 6 ઘાયલ, ગાડીનો કચ્ચરઘાણ
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
પાલનપુર નજીક હાઈવે પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ત્રિપલ અકસ્માતમાં થતાં 2 વ્યક્તિનું કમકમાટીભર્યું મોત થયું છે. આ દરમ્યાન 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત એટલો બધો ભયાનક હતો કે સ્થળ પર કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ થયો હતો. સ્કોર્પિયો કારના ચાલકે ઈકો અને અલ્ટો કારને ટક્કર મારતાં એક્સિડન્ટ થયાનું સામે આવ્યું છે. સ્કોર્પિયો ચાલકની બેદરકારીને લીધે 2 કાર અકસ્માતનો ભોગ બની હોવાનું ફરિયાદને પગલે સામે આવ્યું છે. મૃતકના જમાઇએ વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-દાંતા હાઈવે પર થુર પાટિયા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. ભયાનક અકસ્માતમાં દાતા શાળાનાં મુખ્ય શિક્ષક મુકેશ બાબુભાઇ સોલંકી અને તેમનાં પિતા બાબુભાઇ મણકામાં સોલંકીનું કરૂણ મોત થયું છે. મૃતક પિતા-પુત્ર ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ગામનાં હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણેય કારમાં સવાર કુલ 6 લોકો ઘાયલ થયાં છે. દાતાની પાલનપુર તરફ પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે ડિવાઇડર કુદાવી સામેથી આવતી અલ્ટો અને પછી ઈકો ગાડીને ટક્કર મારી હતી. જેમાં અલ્ટો ગાડીમાં જતાં મુખ્ય શિક્ષક અને તેમના પિતા (નિવૃત શિક્ષક)નું કરૂણ મોત થયું હતું. અકસ્માતમાં ત્રણેય કારના આગળના ભાગના ફૂર્ચેફૂર્ચા એટલે કે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે માર્ગ બ્લોક થઈ જતાં ટ્રાફિકજામ થયો હતો. ગમખ્વાર ઘટનાને પગલે લોકો મોટી સંખ્યામાં સ્થળ પર ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 દ્વારા ઘાયલોને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જલોત્રાથી દાતા વચ્ચે અચાનક સ્કોર્પિયો ગાડીના ચાલકે પ્રથમ અલ્ટો ગાડી અને પછી ઈકો ગાડીને અડફેટે લીધી હતી. સ્કોર્પિયોની સ્પીડ વધારે હોઇ અલ્ટો કારમાં સવાર પિતા પુત્રનુ ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ખતરનાક અકસ્માતને પગલે તાત્કાલિક અસરથી ગાડીઓમાં ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવા સહિતની રાહત બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં 108 એમ્બુલન્સના EMT નિશા ઠાકોર અને પાઈલોટ મહેન્દ્રસિંહ સહિતના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવા મથામણ કરી હતી.