દુર્ઘટના@રાજસ્થાન: જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત, 4ના મોત
Jan 20, 2026, 18:47 IST
16 લોકો ઇજાગ્રસ્ત થયા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જોધપુરમાં ગુજરાત પાર્સિંગની બસ અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા. 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે-125 પર કેરુ ગામમાં મુલાનાડા રોયલ્ટી નાકા પાસે બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી.
બસમાં સવાર તમામ લોકો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. તેઓ રામદેવરા (જેસલમેર)માં બાબા રામદેવના દર્શન કરીને ગુજરાત પરત ફરતા હતા ત્યારે સાંજે 4:30 કલાકની આસપાસ અકસ્માત નડ્યો છે. સ્થાનિક શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં અરના ધોધ પાસે આ અકસ્માત થયો છે. બસમાં કુલ 20 લોકો હતા. જેમાં ચાર લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 16 ઈજાગ્રસ્તોને મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

