દુર્ઘટના@સાંતલપુર: નવરાત્રી દરમ્યાન દિવાલ ધરાશાયી, 7 લોકો દટાયા
અટલ સમાચાર,મહેસાણા
સાંતલપુર તાલુકાના ગામે નવરાત્રી મહોત્સવ દરમ્યાન વરસાદની અસરને પગલે દુર્ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. ગરબા ઉત્સવ દરમ્યાન દિવાલ ધરાશાયી થતાં નજીકના 7 લોકો દટાયા હતા. આ દરમ્યાન ભારે અફરાતફરી મચી જતાં દટાયેલા લોકોને બહાર કાઢવા મથામણ હાથ ધરી હતી. તાત્કાલિક અસરથી ઇજાગ્રસ્તોને મોડી રાત્રે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે સદનસીબે જાનહાની ટળી હતી.
પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે મોડીરાત્રે નવરાત્રી મહોત્સવ જામ્યો હતો. આ દરમ્યાન ચાચરચોકમાં ગરબે રમતા નજીકના મકાનની એક દિવાલ ધ્વસ્ત થતાં 7 લોકો અસરગ્રસ્ત થયા હતા. ગરબે રમવા આવેલ કેટલાક લોકો ગામના નટુભાઇના મકાની દિવાલ પાસે ઉભા હતા. ભારે વરસાદને કારણે જર્જરીત દિવાલ ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. ઉપસ્થિત ગામલોકોએ યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, દિવાલ પડતાં 7 લોકો ઇજાગ્રસ્ત થતાં સૌપ્રથમ રાધનપુર ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્તોને પાટણ ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે તાલુકા આરોગ્ય અને ડીઝાસ્ટર કચેરી દ્રારા વિગતો મેળવી ઇજાગ્રસ્તો સારવાર માટે કવાયત હાથ ધરી હતી.
ગંભીર ઇજાગ્રસ્તોને પાટણ ખસેડ્યા છે : તાલુકા આરોગ્ય અધિકારી
સાંતલપુર તાલુકાના ઇન્ચાર્જ તાલુકા આરોગ્ય અધિકારીએ જણાવ્યુ હતુ કે, રાત્રે દિવાલ ધરાશાયી થયા બાદ બે વ્યક્તિને સામાન્ય ઇજાઓ થતા રાધનપુર ખાતે સારવાર લેવડાવી છે. જ્યારે અન્ય પાંચને વધુ ઇજા પહોંચી હોવાથી પાટણ ધારપુર મેડીકલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોના નામ:
- રાવળ ગોજીભાઇ વેલાભાઇ ઉ. 40
- ચૌધરી શંકુબેન ગજાભાઇ ઉ.55
- ચૌધરી પ્રભાબેન હરિભાઇ ઉ.23
- ચૌધરી જડીબેન દઝાભાઇ ઉ.25
- ચૌધરી ગીતાબેન કરશનભાઇ ઉ. 24
- ચૌધરી આશા કરશનભાઇ ઉ.22
- પ્રજાપતિ દક્ષાબેન દિપકભાઇ ઉ.28