દુર્ઘટના@ગુજરાત: પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા, 2નો બચાવ, 1 લાપત્તા

 
ઘટના
ત્રણ યાત્રિકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા 

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 

પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતે સમુદ્રમાં ત્રણ પ્રવાસીઓ ડૂબ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહાદેવના દર્શન કર્યા બાદ દરિયા કિનારે ગયેલા મહારાષ્ટ્રના સોલાપુરના યાત્રિકો અચાનક આવેલા ઊંચા મોજાંની ઝપટે ચડી ગયા હતા.મહારાષ્ટ્રના સોલાપુરથી પ્રવાસીઓનો એક સંઘ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યો હતો.પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન કર્યા બાદ તેઓ સોમનાથના દરિયા કિનારે મોજાંની મજા માણવા અને ફરવા માટે ગયા હતા. દરમિયાન અચાનક સમુદ્રમાં એકાએક ઊંચી લહેરો ઉછળી હતી, જેની ઝપટે ચડી જતાં ત્રણ યાત્રિકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

 

દરિયામાં યાત્રિકો ડૂબતા જ કિનારે હાજર લોકોમાં ભારે ચીસાચીસ અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માછીમારો, લાઈફ ગાર્ડ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ ટીમે બે યાત્રિકોને સમુદ્રમાંથી સુરક્ષિત અને જીવતા બહાર કાઢી લીધા હતા.

 

દુર્ઘટનામાં ભોગ બનેલા ત્રણ પૈકી બે પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ એક યાત્રિક હજુ પણ લાપત્તા છે. પોલીસ અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા દરિયાના મોજાં વચ્ચે ગુમ થયેલા વ્યક્તિને શોધવા માટે સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે સોમનાથ પ્રશાસન અને દરિયા કિનારે પ્રવાસીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.