દુર્ઘટના@સુરત: ટેક્સટાઈલ મિલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી, 2ના મોત, અનેક કામદારો દાઝ્યા

 
દુર્ઘટના
 આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી જોવા મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સુરતમાં એક મોટી દુર્ઘટના બની છે. સુરતના કડોદ્રા વિસ્તારના જોલવામાં આવેલી સંતોષ ડાઇંગ મિલમાં બોઈલર ડ્રમ ફાટવાથી 2 કામદારોના મોત થયા છે. આગને કારણે મોટી સંખ્યામાં કામદારો દાઝી ગયા છે. સુરત ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલ કામદારોને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.સંતોષ ટેક્સટાઇલ નામની મિલમાં બોઈલર ડ્રમ ફાટવાની ઘટના બની છે. મીલમાં ડ્રમ ફાટ્યું તે દરમિયાન મજૂરો અને કામદારો કામ કરી રહ્યા હતા. આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે, જ્યારે અનેક કામદારોને ઇજા પહોંચી હોવાની આશંકા છે.

તમામ ઈજાગ્રસ્ત કામદારોને સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ દુર્ઘટના પછી ફેક્ટરીમાં મોટી સંખ્યામાં કામદારો ડાઝેલા જોવા મળ્યા, જેઓ પીડાથી કણસતા હતા. સાથી કામદારો તેમને મદદ કરવામાં વ્યસ્ત હતા. આકાશમાં આગની ઊંચી જ્વાળાઓ દૂર સુધી જોવા મળી હતી. સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં બોઈલર ફાટ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. બોઈલર ફાટ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યું છે. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પ્રારંભિક માહિતી અનુસાર લગભગ 10 થી 15 લોકોને દાઝી જવાથી ઇજાગ્રસ્ત થયા છે.