દુર્ઘટના@સુરેન્દ્રનગર: ચોટીલાથી પરત ફરતાં વારાહીના પરિવારને નડ્યો અકસ્માત, 7 લોકોના મોત
અટલ સમાચાર, ડેસ્ક
દિવાળીના તહેવારો બાદ આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જીલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોત થતાં ચકચાર મચી ગઇ છે. રાધનપુરના પરિવારને ઇકો કારમાં ચોટીલા દર્શન કરી પરત ફરતાં અકસ્માત નડ્યો હતો. જેમાં ડમ્પરે ઇકો કારને અડફેટે લેતાં કારમાં અચાનક આગ લાગી હતી. આ તરફ આગને કારણે કારની અંદર બેઠેલાં તમામ લોકો જીવતાં ભુંજાઇ જતાં હડકંપ મચી ગયો છે.
પાટણ જિલ્લાના વારાહી તાલુકાના કોયડા ગામનો પરિવાર ચોટીલા મંદિરે દર્શને ગયા હતા. જ્યાં આજે વહેલી સવારે પરત ફરતી વખતે માલવણ-ખેરવા પાસે આવેલા રામાપીર મંદીર પાસે ડમ્પરે ઇકો કારને અડફેટે લીધી હતી. ડમ્પરની ટક્કરે કારમાં અચાનક વિકરાળ આગ લાગતાં સાત લોકો જીવતા ભૂંજાયા હતા. આ મૃતકોમાં બે બાળકો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. કાર એટલી હદે બળી ગઇ છે કે, તેમાં કેટલા સ્ત્રી અને પુરૂષ હતા તે પણ ઓળખી શકાતા ન હતા. પરંતુ મળતી માહિતી પ્રમાણે મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલા અને બે પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે એક મહિલાનો આબાદ બચાવ થયો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, અનલોકમાં મળેલી છૂટ અને દિવાળીના તહેવારો વચ્ચે આવન-જાવન બેફામ બનતાં દરરોજ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મૂળ પાટણ જીલ્લાના વારાહી તાલુકાનો નાયી પરિવાર ચોટીલાથી પરત ફરતાં અકસ્માત નડતાં પરીવારજનો સહિતના ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, આ કારમાં ગેસ કીટ હતી જેના કારણે આગ લાગી હોઇ શકે છે. એફએસએલની ટીમ આવીને તપાસ કરશે.
મૃતકોનાં નામ
- રમેશભાઈ મનસુખભાઈ નાયી(ઉ.વ. 38) ગામ- કોરડા, તા-વારાહી, જિલ્લો- પાટણ
- કૈલાશબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- કોરડા, તા- વારાહી, જિલ્લો- પાટણ
- સનીભાઈ રમેશભાઈ નાયી (ઉ.વ. 12) ગામ- કોરડા, તા- વારાહી, જિલ્લો- પાટણ
- મિતલબેન રમેશભાઈ નાયી (ઉ.વ. 8) ગામ- કોરડા, તા- વારાહી, જિલ્લો- પાટણ
- હરેશભાઈ ચતુરભાઈ નાયી (ઉ.વ. 35) ગામ- નાનાપુરા, તા- રાધનપુર, જિલ્લો- પાટણ
- તેજલબેન હરેશભાઈ નાયી (ઉ.વ. 32) ગામ- નાનાપુરા, તા- રાધનપુર, જિલ્લો- પાટણ
- હર્ષદભાઈ હરેશભાઈ નાયી (ઉ.વ. 6) ગામ- નાનાપુરા, તા- રાધનપુર, જિલ્લો- પાટણ