દુર્ઘટના@થરાદ: 20 ફૂટ ઉંચા વીજપોલ પરથી પટકાતાં કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત
અટલ સમાચાર, થરાદ
થરાદમાં વીજપોલ પર કામ કરી રહેલાં કર્મચારી નીચે પટકાતાં કરૂણ મોત થયાની ઘટના સામે આવી છે. ગઇકાલે વીજ કર્મચારી લગભગ 20 ફૂટ જેટલા ઉંચા વીજપોલ ઉપર કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક કર્મચારીએ બેલેન્સ ગુમાવતાં તે નીચે પટકાતાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. ઘટનાને લઇ પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. ઘટનાને લઇ વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના થરાદમાં હાઇવે પર ગઇકાલે એક વીજડીપીનું રીપેરીંગનું કામ થઇ રહ્યું હતુ. વીજકર્મી રાજુ ઘુડાભાઈ ઠાકોર ઉ.વ 40 વીજપોલ પર ચઢી રીપેરીંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન અચાનક તેઓએ બેલેન્સ ગુમાવતાં નીચે પટકાયા હતા. જોકે, 20 ફૂટ જેટલા ઉંચા વીજપોલ પરથી નીચે પડતાં તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થતાં ખળભળાટ મચી ગયો છે.
સૂત્રોએ જણાવ્યું હતુ કે, બનાવ અંગે વીજ કંપનીના કર્મચારીઓએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કર્મચારીના મૃતેદહનું પીએમ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તરફ રીપેરીંગ સમયે વીજ લાઇન બંધ કરી દેવામાં આવતી હોય છે છતાં અનેક વાર કરંટ પસાર થઈ જતો હોય છે. જોકે રાજુભાઈ ઠાકોરનું કરંટ લાગવાના કારણે પટકાવાથી મોત થયું કે અન્ય કારણોસર પટકાયા ? તેવા સવાલો પંથકમાં ચર્ચાસ્પદ બન્યાં છે.