દુર્ઘટના@બનાસકાંઠા: પેપર મિલના કૂવામાં ગૂંગળામણથી 3 શ્રમિકના થયા મોત, 2ની હાલત ગંભીર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પાલનપુર ડીસા હાઈવે પર આવેલ પેપર મિલમાં મોટી દુર્ઘટના બની છે. પેપર મિલના કૂવામાં ગૂંગળામણથી 3 શ્રમિકના મોત થયા છે જ્યારે અન્ય 2 મજૂરો પાલનપુર સિવિલમા સારવાર માટે ખસેડાયા છે. પેપર મિલમાં પેપર પલાળવા માટે કુંડીઓ બનાવી હતી. જે કુંડીઓ છેલ્લા એક સપ્તાહથી બંધ હોવાથી અંદર ગેસ એકઠો થયો હતો. મંગળવાર રાત્રે શ્રમિકો કુંડીમાં ઉતર્યા હતા.ત્યારે કુંડીમાં એકઠા થયેલ ગેસનાં કારણે શ્રમિકને ગુંગળામણ થવા પામી હતી.
બેભાન થઈ ગયેલ મજૂરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જે બાદ બેભાન થઈ ગયેલ મજૂરોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન ત્રણ મજૂરોનાં મોત નિપજ્યા હતા. ઘટનાને લઈને પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી છે.પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલી પેપર મીલમાં કૂવામાં કામ કરી રહેલા એક શ્રમિક ને ગુંગળામણ થતા અન્ય ચાર શ્રમિકો તેને બચાવવા માટે કુવામાં ઉતાર્યા હતા ત્યારે પાંચ શ્રમિકોને પણ ગુંગળામણ થવા લાગી હતી. ત્યારે સ્થળ પરના લોકોએ પાંચ શ્રમિકોને બહાર કાઢી તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ત્રણ જેટલા શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિકો ગંભીર હાલતમાં સારવાર ચાલી રહી છે.
ઘટનાને લઈને ગઢ પોલીસ સ્થળ ઉપર પહોંચીને સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાં બાબતે પેપર મિલનાં ડિરેક્ટર જય પ્રકાશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પેપર મિલમાં ગુંગળામણનાં કારણે મોત નિપજ્યાની જાણ થતા હું તાત્કાલીક મિલ ખાતે આવી પહોંચ્યો હતો. તેમજ અમારી પાસે ઓક્સિજન ટેન્ક હતી. જે લઈને શ્રમિકો નીચે ઉતર્યા હતા. પરંતું શ્રમિકોને તે ટેન્ક ચાલુ કરતા ન આવડતા ઉપયોગ કરી શક્યા ન હતા.