દુર્ઘટના@જુનાગઢ: શિવરાત્રીના મેળા દરમ્યાન અચાનક જ ગિરનારના પ્રથમ પગથિયે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
![ગિરનાર](https://atalsamachar.com/static/c1e/client/91782/uploaded/562eebd87bd2acac2fd0af45916d1ec1.jpg)
અટલ સામાચાર ડોટ કોમ, ડેસ્ક
જુનાગઢમાં શિવરાત્રીના મેળા દરમ્યાન અચાનક જ ગિરનારના પ્રથમ પગથિયે આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ધારાસભ્યને થતા તેઓ પણ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચ્યા હતા. તેમજ આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગ્રેડને થતા ફાયર બ્રિગ્રેડ દ્વારા કોઈ મોટી દુર્ઘટનાં સર્જાય તે પહેલા ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી. ભવનાથના મેળાને બે દિવસ પૂર્ણ થયા છે.મેળામાં આવતા શ્રદ્ધાળુઓ પોતાનાં પ્રાઈવેટ વાહનો લઈ મેળામાં આવતા હોય છે. ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.
આ બાબતે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષે મહાશિવરાત્રીનાં મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. આ વખતે પણ જૂનાગઢ પોલીસ દ્વારા મેળાને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં બે એસઆરપી કંપની, 150 પોલીસ અધિકારીઓ, 2500 થી વધુ પોલીસ સહિત કુલ 3000 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયેલા છે.જુનાગઢ પોલીસ દ્વારા શિવરાત્રી મેળામાં પાંચ જગ્યાઓ પર પલ્બિક એલાઉન્સમેન્ટ સિસ્ટમ ગોઠવવામાં આવી છે
તેમજ મેળામાં સાત વોચ ટાવર પણ ગોઠવવામાં આવ્યા છે. જેથી મેળામાં ચાંપતી નજર રાખી શકાય. શિવરાત્રીનાં મેલામાં 80 થી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.