દુઃખદ@ઊંઝા: ગંજમા તપાસ વચ્ચે બાહોશ વા.ચેરમેનનુ કોરોનાથી મોત, માતમ છવાયો
અટલ સમાચાર, મહેસાણા
સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. તેવા સમયે ઊંઝાની એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના વાઇસ ચેરમેન શિવમ રાવલનું મોત થયુ છે. તેમને દોઢ મહિનાથી કોરોનાની બિમારીને કારણે અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી. ગઈકાલે મોડી રાત્રે તેમની તબિયત લથડી હતી અને રાત્રે 2 વાગ્યે તેમનું નિધન થયું હતું.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામના શિવમ રાવલ વતની હતા. ઊંઝાને તેમને કર્મભૂમિ બનાવી હતી. તેમણે જિલ્લા રજિસ્ટ્રાર તરીકે અગાઉ ફરજ બજાવી હતી. તે દરમિયાન જ તેઓ ઊંઝાના પૂર્વ ધારાસભ્ય એવા નારણભાઇ પટેલના સંપર્કમાં આવ્યા હતા. તેમણે નોકરીમાંથી સ્વૈચ્છિક રાજીનામું ધરીને રાજકારણમાં સક્રિય થયા હતા. શિવમ રાવલના નિધનથી ઊંઝાને એક પ્રખર રાજકારણી, સામાજિક, ધાર્મિક કાર્યકરની ભારે ખોટ પડી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક રાજકીય નેતાઓ સાથે કારકિર્દીની સફર કરી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, શિવમ રાવલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક કાર્યકર હતા. ઊંઝા APMCના વાઇસ ચેરમેનના પાર્થિવ દેહને બાલાજી ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના નિધનની જાણ થતાં તેમના સમર્થકો અને ભાજપ કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે તેઓ ઊંઝાના એક પ્રખર રાજકારણી પણ હતા. તેમના નિધનથી પરિવરમાં માતમ છવાયો છે. કોરોના અનેક લોકોને ભરખી ગયો છે.