ફસાયા@ઈડર: ફેક્ટરી માલિકે કર્યો મરવાનો પ્રયત્ન, નોટબંધી પછી દેવામાં, વ્યાજખોરો-બાકીદારોએ ડુબાડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ઈડર
ઈડર પંથકના ફેક્ટરી માલિકે અચાનક આપઘાતની કોશિશ કરતાં દોડધામ મચી ગઇ હતી. આર્થિક બોજથી ત્રાસી જઈ મોટાગજાના વેપારીએ મરવાનો વિચાર કર્યો હતો. જેમાં આપઘાતની જાણ સંબંધિતોને થતાં તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સદ્દનસીબે જીવ બચી ગયા બાદ ફરિયાદ નોંધાવી છે. જેમાં નોટબંધી પછી સતત ધંધામાં ગિરાવટ આવતાં નાણાંની જરૂરિયાત વધી ગઇ હતી. આ દરમ્યાન વ્યાજે રકમ લીધા બાદ વ્યાજખોરો અને બાકીમાં ફેક્ટરીનો માલ લઇ ગયેલા બાકીદારોને કારણે પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. વેપારીએ કુલ ઈસમો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં ગુનો દાખલ થયો છે.
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે રહેતાં અને હિંમતનગર હાઇવે પર અજંતા માર્બલ નામની ફેક્ટરીના માલિકે આપઘાતની કોશિશ કરી હતી. વ્યાજખોરો અને બાકીદારોને કારણે આર્થિક બોજ હેઠળ આવી ગયા બાદ સતત માનસિક ત્રાસ રહેતો હતો. વ્યાજખોરોની હેરાનગતિ સહન નહિ થતાં મરવાનું નક્કી કર્યુ હતું. જોકે તાત્કાલિક સારવાર મળી જતાં ફેક્ટરી માલિક આશિષ અડાલજાનો બચાવ થયો હતો. આ પછી સમગ્ર ઘટનાક્રમને લઈ ફેક્ટરી માલિકે નાણાં ધિરનાર ઈસમો અને બાકીમાં માર્બલ લઈ જનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
જેમાં 4 ઈસમો માર્બલ સહિતનો જથ્થો લઈ ગયા બાદ પૂરતો હિસાબ આપેલ નથી. જ્યારે 13 ઈસમો પાસેથી વ્યાજે નાણાં લીધા બાદ અનેકને રકમ ભરપાઇ કરવા છતાં ફેક્ટરી સંચાલક આશિષ અડાલજાને માનસિક ત્રાસ રહેતો હતો. આ પ્રકારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, નોટબંધી બાદ ખોટ વધતાં વ્યાજે રકમ લેવી પડી હતી. આ દરમ્યાન કેટલાકને બાકીમાં માર્બલ આપતાં હજુયે અનેકના પૈસા બાકી રહ્યા હતા. જમા ઉધારની બાબતે તાલમેલ ખોરવાઇ જતાં સાથે વ્યાજખોરોનો સતત માનસિક ત્રાસ વધતો જતો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, અજંતા માર્બલ નામે ફેક્ટરી ધરાવતાં વેપારીને એક તરફ વ્યાજખોરોનો ત્રાસ તો બીજી તરફ બાકીદારોનો હિસાબ મળતો ન હતો. આ દોડધામ વચ્ચે નોટબંધી પછી ધંધામાં ખાસ તેજી નહિ આવતાં આર્થિક બોજ તળે આવી ગયા હતા. આથી આપઘાતનો પ્રયત્ન કર્યા બાદ સદ્દનસીબે જીવ બચી જતાં કુલ 17 ઈસમો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આથી પોલીસે તમામ આરોપીઓ સામે આઇપીસી અને નાણાં ધિરધારના કાયદાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.