દાવ@ઊંઝા: આશાબેનને હંફાવશે પાયાના કાર્યકરો, કોંગ્રેસનું મેદાન મોકળું
અટલ સમાચાર, ગિરીશ જોશી
ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશાબેન ફરી એકવાર ઉમેદવારી નોંધાવશે. જોકે ફોર્મ ભરીને પ્રચારમાં ઉતરે તે પહેલાં ભાજપના પાયાના કાર્યકરો લાલઘૂમ બની ગયા છે. કાર્યકરોએ પ્રદેશ ભાજપને અલ્ટીમેટમ આપ્યું તે મુજબ નહિ થાય તો આશાબેનને હંફાવશે તેવું નક્કી કર્યું છે. જેથી કોંગ્રેસને જલ્સો પડી ગયો છે.
બહુ ઓછા લોકોને ખબર હશે કે ઊંઝા વિધાનસભાની પેટાચૂંટણીમાં આશાબેન જંગ જીતે કે હારે તો પણ ભાજપને ફાયદો છે. કેમ કે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને કોંગ્રેસને અલવિદાનુ કારણ ભલે ગમે તે હોય. જોકે આશાબેનનું ભાજપમાં જોડાવાનું શરતી હશે તેમાં શંકાને સ્થાન નથી.
સુત્રોએ જણાવ્યું હતું કે, નારણભાઇ પટેલ વયોવૃદ્ધ થતાં હોઇ ભાજપ અન્ય ચહેરાની શોધમાં હતો. આવી સ્થિતિમાં આશાબેને તૈયારી દર્શાવી ભાજપે પેટાચૂંટણીમાં ટિકિટ સહિતના દરવાજા ખુલ્લા રાખ્યા હતા. હવે આશાબેનને ઉમેદવાર બનાવી ભાજપ નારણ પટેલ જૂથનો દબદબો સાઈડ કરશે.
હવે જો પેટાચૂંટણીમાં આશાબેન જીતી જાય તો આપમેળે નારણ કાકાનાં ગૃપનુ રાજકીય પૂર્ણ વિરામ આવી જાય. જો આશાબેન હારે તો ખુદ આશાબેનના રાજકીય ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ આવી જાય તેમ છે. આનાથી બીજી ચુંટણીમાં ભાજપના નવીન ચહેરા સામે કોંગ્રેસને પણ નવીન ચહેરા ઉપર આધાર રાખવો પડે.
હકીકતે ઊંઝામાં ભાજપે આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખી રાજકીય દાવ ખેલ્યો છે. આશાબેન જીતે કે હારે છતાં ફાયદો ભાજપને છે.