અપડેટ@અમદાવાદ: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુઆંક 278 થયો, કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ

 
ઘટના
કાટમાળ દૂર કરતા એક યુવતી સહિત 3 મૃતદેહ મળ્યાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થવાની ઘટના બાદ હવે કાટમાળ હટાવવાની કામગીરી દરમિયાન બી જે મેડિકલ કોલેજની મેસ પર વિમાનની ટેલમાં ફસાયેલો એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સિવાય બીજા બે મૃતદેહ ભડથું થયેલા મળ્યા હતાં. આ સાથે અમદાવાદ પ્લેન ક્રેશનો મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. યુવતીનો મૃતદેહ ફ્‌લાઇટની ક્રુ-મેમ્બરનો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. DNA મેચ કરવાની સાથે એક મૃતદેહ પાસેથી મળી આવેલી ચીજવસ્તુઓના આધારે પણ ઓળખ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રીન્ટેડન્ટ રજનીશ પટેલે કહ્યું કે અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયા છે અને 12 લોકોના મૃતદેહ પરિવારજનોને સોંપાયા છે.એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતુ વિમાન તૂટી પડ્યા બાદ છેલ્લાં બે દિવસથી એનડીઆરએફ અને ફાયર બ્રિગેડ તેમજ અન્ય એજન્સીઓના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં શનિવારે મેસ પર વિમાનની ટેલના ભાગે કાટમાળ દૂર કરવાની કામગીરી દરમિયાન એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને કટરની મદદથી લોખંડ દ્વારા કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ મૃતદેહ એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર અને હોસ્ટેસનો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ કરવા માટે ક્રુ- મેમ્બર્સના પરિવારને જાણ કરવામાં આવી છે. જેમાં સ્થળ પરથી મળી ડીએનએ સિવાય સ્થળ ઉપરથી મળી આવેલી ચીજ વસ્તુઓના આધારે ઓળખ કરવામાં આવશે. આ સિવાય મેશની અગાસી પર ફેલાયેલા કાટમાળમાંથી વધુ બે મૃતદેહો ભડથું થયેલી હાલતમાં મળી આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 278 પહોંચ્યો છે. હજુ અનેક લોકો લાપતા હોવાથી મૃત્યુઆંક વધ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.