અપડેટ@અમદાવાદ: વિમાન ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અથડાયું, 8થી વધુ લોકોના મોત

 
પ્લેન દુર્ઘટના
લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ દુર્ઘટનામાં એક અત્યંત કરુણ દ્રશ્ય સામે આવ્યું છે. આ વિમાન નજીકમાં આવેલી ઈન્ટર્ન ડોક્ટરની હોસ્ટેલ પર અથડાયું હતું, જેના કારણે બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી અને 8થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. ક્રેશ થયેલું વિમાન હોસ્ટેલ બિલ્ડિંગના ત્રીજા, ચોથા અને પાંચમા માળે પાંખની બાજુએથી અથડાયું હતું. જેને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે.

વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં ઈન્ટર્ન ડોક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે 50થી વધુ લોકો રહેતા હતા. આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા. આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે, એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેક્યો હતો. જ્યારે, એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી છે. બિલ્ડિંગમાં આગ લાગતા 8થી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા. પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ 9થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે, સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે.